મણીપુરમાં વકફ બિલને ટેકો આપનાર મુસ્લિમ નેતા સાથે શું થયું ? જુઓ
વક્ફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયુ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. બીજી તરફ સમગ્ર દેશના મુસ્લિમો અને વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું છે.
ટોળાએ ભાજપ નેતા અને લઘુમતી મોરચાના વડા અસ્કર અલીના ઘરને આગ ચાંપીને ફૂંકી માર્યું હતું. આ મામલે પોલીસે જણાવ્યું કે, મણિપુરમાં ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અસકર અલીએ વક્ફ સુધારા કાયદાને સમર્થન આપ્યું હતું. તેનાથી રોષે ભરાયેલા ટોળાએ આ પગલું ભર્યું છે. આ ઘટના થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, ‘અસકર અલીએ સોશિયલ મીડિયા પર વક્ફ સુધારા બિલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ રવિવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે તેમના ઘરની બહાર રોષે ભરાયેલા લોકો એકઠા થઈ ગયા હતા. જોત-જોતામાં આ ટોળાએ તોડફોડ શરૂ કરી દીધી અને ઘરને ફૂંકી માર્યું હતું.
આગજનીની ઘટના બાદ અસકર અલીએ એક નવો વીડિયો બહાર પાડ્યો હતો આમાં તેમણે પોતાના પાછલા નિવેદન માટે માફી માંગી. તેમણે વક્ફ સુધારા કાયદાનો વિરોધ પણ કર્યો હતો.