આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થઈ જતાં આજે બપોરે પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવનાર હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે સવારે 11 વાગ્યે વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાનેથી સિવિલ હોસ્પિટલ-અમદાવાદ જવા માટે પરિવારજનો રવાના થશે. આ પછી 11ઃ30 વાગ્યે પાર્થિવ દેહની સોંપણી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવશે. 11:30એ સિવિલ હોસ્પિટલથી સૌ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈને 12ઃ30 વાગ્યે એરપોર્ટ પહોંચશે. આ પછી બપોરે 2 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે. એરપોર્ટથી બપોરે 2ઃ30 વાગ્યે તેમનું પાર્થિવ શરીર ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચશે.

ત્યારબાદ બપોરે 2ઃ30થી ગ્રીનલેન્ડ ચોકડીથી વિજયભાઈનો દેહ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. એકંદરે ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી સામેના રોડથી બાલક હનુમાન ચોક, કે.ડી.ચોકથી સંતકબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક, ત્યાંથી કેસરી હિંદ પુલથી સિવિલ હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડ અને ત્યાંથી પ્રકાશ સોસાયટીમાં કે જ્યાં વિજયભાઈ રૂપાણીનું નિવાસસ્થાન છે ત્યાં પાર્થિવ દેહ પહોંચશે. અહીં બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન (પુજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે) પાર્થિવ દેહ દર્શનાર્થે રાખવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે

ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા શરૂ થશે જે પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન)થી નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકિઝ રોડ, સ્વામિનારાયણ મંદિર-ભૂપેન્દ્ર રોડથી રામનાથપરા સ્મશાન પહોંચશે જ્યાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

આ પછી બીજા દિવસે એટલે કે આવતીકાલે બપોરે 3થી 6 દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા થશે. તા.19ને ગુરૂવારે સવારે 9થી 12 દરમિયાન ગાંધીનગર ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, એક્ઝિબિશન સેન્ટર હોલ નં.1 ખાતે પ્રાર્થના સભા યોજાશે અને તા.20ને શુક્રવારે સાંજે 4થી 6 દરમિયાન વિજયભાઈ રૂપાણી તેમજ દૂર્ઘટનાના તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કમલમ્, કોબા-ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાશે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી, ભત્રીજા અનિમેષ રૂપાણી, મેહુલ રૂપાણી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
…ને વિજયભાઈનો પુત્ર ઋષભ રડી પડ્યો
વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા અંગેની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરવા દરમિયાન વિજયભાઈનો પુત્ર ઋષભ રૂપાણી પિતાને યાદ કરીને રડી પડ્યો હતો. આ તકે તેમણે સમગ્ર તંત્ર સહિતનાનો પણ ખડેપગે રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.