રાજકોટમાં એક જ રાતમાં બે-બે હત્યા : કાન વિંધવાનું કામ કરતાં યુવકનું અપહરણ, વાડીએ સુતેલા યુવકનું ઢીમ ઢાળી દીધું
રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં એક જ રાતમાં બે-બે યુવકની હત્યાની ઘટનાથી પોલીસમાં દોડધામ ગઈ છે. કટલેરી સાથે કાન, નાક વિંધવાનું કામ કરતાં યુવાનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોરમાર મારી હત્યા જ્યારે જામનગરના યુવકને વાડીએ જ હતો ત્યારે રાત્રીના તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નખાયાના બે બનાવ આજી ડેમ તથા કુવાડવા રોડ પોલીસ મથકે નોંધાયા છે. બન્ને બનાવમાં પોલીસ દ્વારા આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરાઈ છે.
કુવાડવા નજીક ફાળદંગ રફાળા પાસે આવેલા જામગઢમાં રહેતા મુકેશ વેલાભાઈ વાવડિયા (ઉ.વ.38 ) ગતરાત્રે પોતાની વાડીએ હતો ત્યારે રાત્રી દરમિયાન માથાના ભાગે, શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. વાડીની બાજુમાં વાડી ધરાવતા વાડીધારક ટ્રેક્ટર લઈને નીકળતા મુકેશને લોહીયાળ હાલતમાં પડેલો જોયો હતો. તરંત જ પરિવારજનોને જાણ કરાઈ હતી. તેઓ વાડીએ દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે કુવાડવા પોલીસને જાણ કરાતાં ઈન્ચાર્જ બનાવ સંદર્ભે કુવાડવા પોલીસને જાણ કરાતાં ઈન્ચાર્જ પીઆઈ આઈ.એન. સાવલિયા, પીએસઆઈ એન.જે.સોલંકી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
માથાના ભાગે કૂહાડી કે આવા હથિયારના કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રી દરમિયાન ઘા ઝીં કીને હત્યા કર્યાની પોલીસને શંકા ઉદભવી હતી. વિનુભાઈની ફરિયાદના આધારે કુવાડવા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જાણવા મળ્યા મુજબ મૃતક બે ભાઈ, બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. થોડા સમય પહેલાં મુકેશ તેના પરિવાર દ્વારા જમીન વેચવામાં આવી હતી અને નાણાં આવ્યા હતા. એ નાણાં લેતી-દેતીના મામલે કોઈ માથાકૂટ ચાલતી હતી કે કેમ ? વ્યાજે નાણાં આવ્યા બાબતે ઝઘડામાં યુવકની હત્યા કરાઈ હોવાની મૃતકના નજીકના વર્તુળ દ્વારા આશંકા સેવાઈ છે.
કાનમાંથી સોનાની કડી કાઢી લીધાની શંકાએ યુવકનું અપહરણ કરી પતાવી દીધો
રાજકોટની ભાગોળે લાપાસરી ગામે ગોરધન હોટલની સામે આવેલા ઈંટના ભઠ્ઠામાં રહેતા અને કાન-નાક વીંધવાનું તેમજ કટલેરીની ફેરી કરી ગુજરાન ચલાવતાં ગોપાલ ભુદુભાઈ સોલંકીની લોઠડા ગામે હત્યા કરવામાં આવી હતી. મૃતક ગોપાલના ભાઈ બચુ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 17 મેએ ગોપાલ સવારે આઠ વાગ્યા આસપાસ કાન-નાક વિંધવા તેમજ કટલેરી વેચવા લોઠડા જવાનું કહી બાઈક પર ઘેરથી નીકળ્યો હતો. મોડી રાત સુધી ઘેર પરત ન આવતાં અને મોબાઈલ પણ બંધ આવતાં પરિવારજનને શંકા ગઈ હતી. આ પછી બીજા દિવસે એટલે કે રવિવારે ગોપાલની તપાસ કરવા માટે તેના ભાઈ સહિતના લોઠડા ગામે ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે ગોપાલ કાન-નાક વિંધવા માટે લોઠડા ગામે પરબત ભીમાભાઈ કોળીના ઘેર ગયો હતો. અહીં ઝઘડો થતાં પરબત અને તેના પુત્ર સહિતના શખ્સોએ હથિયાર તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ પછી ઈકો ગાડીમાં નાખી વીડીમાં લઈ જઈ ત્યાં પણ માર મારી ફરાર થઈ ગયા હતા. આ પછી 108માં ગોપાલને હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ ત્યાં તેનું શરીરે લાકડી અથવા બોથડ હથિયારના ઘા મારી મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસે આ અંગે જણાવ્યું હતું કે ગોપાલ લોઠડા ગામે પરબત કોળીના ઘેર કાન વિંધવા માટે ગયો હતો જયાં સ્ત્રીનો કાન વિંધતી વખતે સ્ત્રીએ પહરેલી સોનાની કડી કાઢી લીધાની શંકાએ પરબત સહિતના શખ્સોએ તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.