દેશમાં નકલી ડોક્યુમેન્ટનું રેકેટ ચલાવનાર બે માસ્ટર માઈન્ડ ઝડપાયા
સુરતમાંથી પકડાયેલ રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ઈકો સેલનો કર્ણાટક અને આસામમાં દરોડો: એસીપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમની કામગીરી
સુરતમાં ઈકો સેલે નકલી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના મહત્વના બોગસ દસ્તાવેજો બનાવી આશરે ૩ લાખથી વધુ આવા બોગસ દસ્તાવેજો બનાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં ઈકો સેલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ પ્રકરણના સૂત્રધાર ફરાર હોય જે અંગે તપાસ કરી રહેલા ઈકો સેલના એસીપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે આસામ અને કર્ણાટકના બે માસ્ટર માઈન્ડને ઝડપી લીધા છે. આ બન્ને શખસો ઓનલાઈન માધ્યમથી બોગસ દસ્તાવેજો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફટવેરનું વેચાણ કરતા હતા અને દેશવ્યાપી આવા બોગસ ડોક્યુમેન્ટનો કારોબાર ચલાવતા હતા.
ભારતમાં મોટાભાગે નાગરિક તરીકે ઓળખમાં ઉપયોગમાં લેવાતા આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો જેવા કે ડ્રાઈવિન લાયસન્સ તેમજ ચૂંટણીકાર્ડનું ઓનલાઈન ડુપ્લીકેટ વેચાણનું મોટું રેકેટ સુરત ઈકો સેલે ઝડપી પાડ્યું હતું જેમાં દેશભરમાં આશરે ૩ લાખથી વધુ આવા નકલી ડોક્યુમેન્ટ ઈસ્યુ થયાનો પર્દાફાશ થયો હતો જેમાં આવા ખોટા ડોક્યુમેન્ટ બનાવનાર રાજસ્થાનના સોમનાથ પ્રમોદકુમાર, યુપીના પ્રેમસિંગ ધરમવીરસિંગ ઠાકુરની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં આ કૌભાંડ ચલાવનાર તરીકે આસામના અમિરૂલ હક ખાન ચલાવતો હોવાનું અને તે બાંગ્લાદેશની બોર્ડર નજીક રહેતો હોય તેને પકડવા માટે ટીમ મોકલવામાં આવી હતી અને સુરત ઈકો સેલે ગુપ્ત ઓપરેશન પાર પાડી અમીરૂલ હક ખાન રૂકુનઉદીનની ધરપકડ કરી હતી.
આ પ્રકરણમાં તેની સાથે કર્ણાટકનો પૃથ્વી સાગર ધનંજયાની સંડોવણી પણ ખુલી હતી. તે અમિરૂલ હક સાથે જોડાઈને કામ કરતો હતો. આ બન્ને શખસોને પકડ પાડવામાં આવ્યા હતા અને આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો માસ્ટર માઈન્ડ બાંગ્લાદેશ નજીક રહેતો અમિરૂલ હક અને પૃથ્વી સાગર બન્ને આ નકલી ડોક્યુમેન્ટ બનાવવાના સોફ્ટવેરનું વેચાણ કરતા હોય બન્નેને પકડી લઈ દેશવ્યાપી ફેલાયેલા બોગસ ડોક્યુમેન્ટના કારોબાર ઉપર ઈકો સેલે રોક લગાવી દીધી છે.
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલ તેમજ ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઈકો સેલના એસીપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર રેકેટના મુળ સુધી પહોંચીને કાર્યવાહી કરી હતી.
એનઆઈએ અને એનએસએ અજીત ડોભાલે આ કૌભાંડમાં તપાસ કરી’તી
હાલના સમયમાં ભારતમાં નાગરિક તરીકેની ઓળખમાં જે દસ્તાવેજોનો ઉપયોગ થતો હોય તેવા દસ્તાવેજ નકલી બનાવવાના રેકેટનો ઈકો સેલે પર્દાફાશ કર્યો હોય, આવા નકલી ડોક્યુમેન્ટનેો દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સુરત ઈકો સેલે પકડી પાડેલા આ દેશવ્યાપી નેટવર્કની જાણ તમામ એજન્સીઓને કરવામાં આવી હોય કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈએની સ્પેશિયલ ટીમને સુરત મોકલવામાં આવી હતી તેમજ આ કૌભાંડમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ આ દેશવિરોધી પ્રવૃત્તિના કૌભાંડની જાતે તપાસ કરી હતી અને કામગીરી કરનાર સુરતની ઈકો સેલને અભિનંદન આપ્યા હતા.