હરિફને પતાવી દેવા અપાઈ બે લાખની સોપારી! રાજકોટમાં રહેતા સ્ક્રેપના ધંધાર્થીનું યુપી-બિહાર સ્ટાઈલથી કારસ્તાન
રાજકોટમાં પણ હવે ઉત્તરપ્રદેશ અને બિહાર સ્ટાઈલથી હરિફને પતાવી દેવા માટે સોપારી આપવાનું શરૂ કરવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા સમય પહેલાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બરકતનગર શેરી નં.5માંથી એક શખસને હથિયાર સાથે પકડ્યો હતો જેની પૂછપરછ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે આ શખસને હથિયાર સાચવવા માટે બરકતીનગરના જ શખસે આપ્યા હતા પરંતુ હથિયાર સાચવવા માટે આપી જનાર શખસ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં બંધ હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી પૂછપરછ કરાતા આખોયે મામલો હત્યાની સોપારી સાથે જોડાયેલો હોવાનું ખુલતા પોલીસ પણ સ્તબ્ધ બની જવા પામી હતી.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.બી.જાડેજા અને તેમની ટીમે થોડા સમય પહેલાં રાજકોટના બરકતીનગર શેરી નં.5માંથી સરફરાઝ શબ્દરભાઈ પઠાણને એક ગેરકાયદેસર પીસ્તલ તેમજ એક દેશી બનાવટના બાર બોરના જોટા તેમજ ચાર કાર્ટીસ સાથે પકડી પાડ્યો હતો. સરફરાઝની પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે તેને આ હથિયાર તેમજ કાર્ટિસ આશિફ હસનઅલી શેખ (રહે.બરકતીનગર શેરી નં.2)એ સાચવવા આપ્યા હતા.
પોલીસે આશિફની તપાસ કરતા તે તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં રાજકોટ જેલમાં બંધ હોય જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવી ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
રિમાન્ડ દરમિયાન આશિફઅલી પોપટ બની ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે તેના ઘર પાસે રહેતા અને ભંગારનો ધંધો કરતા લાલમહમ્મદ રસિદખાન પઠાણ (રહે.બરકતીનગર શેરી નં.2)ને એ જ શેરીમાં રહેતા અને કારખાનામાંથી ડાયરેક્ટ ભંગારની ખરીદી કરતા અજીજઅલી મુબારકઅલી સૈયદ સાથે ધંધાકીય હરિફાઈ તેમજ છોકરા બાબતે માથાકૂટ ચાલતી હોય અજીજઅલીને મરાવી નાખવા માટે લાલમોહમ્મદખાને આશિફને બે લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ પછી આશિફ પોતાના વતનમાંથી પીસ્તલ લઈ આવ્યો હતો જેની તસવીર લાલમહમ્મદખાનને બતાવતા તેણે એડવાન્સ પેટે 36 હજાર ફોન-પે મારફતે તેમજ દસ હજાર રોકડા આપ્યા હતા. જો કે સોપારી લીધા બાદ હત્યાને અંજામ આપે તે પહેલાં જ આસીફઅલીને અન્ય શખસ સાથે માથાકૂટ થતા જેલમાં જવું પડ્યું હતું. આસીફઅલીની કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાન્ચે મુળ ઉત્તરપ્રદેશ અને હાલ રાજકોટના બરકતીનગર શેરી નં.2માં રહેતા લાલમોહમ્મદખાન રસિદખાન પઠાણને પકડી પાડ્યો હતો.
આરોપીની પત્નીને ખબર પડી જતા પતિને દરગાહે લઈ જઈ સમ ખવડાવ્યા !
પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી છે કે લાલમોહમ્મદખાન પઠાણે તેના હરિફ અજીજઅલી સૈયદની હત્યા કરાવી નાખવા માટે બે લાખની સોપારી આપ્યાની જાણ પત્નીને થઈ જતાં તે હેબતાઈ ગઈ હતી અને તે તાત્કાલિક પતિને જંક્શન પાસે આવેલી એક દરગાહ પર લઈ જઈને આવું કોઈ જ કૃત્ય ન કરવાના સમ ખવડાવ્યા હતા સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તમે હત્યા કરવા માટે એડવાન્સપેટે જે 46 હજાર રૂપિયા આપ્યા છે તે પણ જતા કરી દેજો…!!
હત્યા કર્યા બાદ છોડાવવા માટે જે ખર્ચ થાય તે આપવા પણ બંધાયો’તો
હત્યા માટે સોપારી આપ્યા બાદ લાલમોહમ્મદખાન પઠાણે આસીફ હસનઅલી શેખને કહ્યું હતું કે તેને સોપારી પેટે બે લાખ રૂપિયા આપશે અને તે પકડાઈ ગયા બાદ તેને જેલમાંથી છોડાવવા માટે પણ જે ખર્ચ થશે તેનું ચૂકવણું પણ કરશે ! જો કે પોલીસની સજાગતાને કારણે હત્યાનો બનાવ બનતા અટક્યો હતો સાથે સાથે આરોપીઓ પણ પકડાઈ ગયા હતા.
