રાજકોટમાં ટ્રાફિક ટેરર : રોડ વચ્ચેના ડિવાઈડરની જગ્યાનો બગાડ જ ટ્રાફિકની સમસ્યાનું મૂળ
રાજકોટ શહેરમાં બુધવારે સર્જાયેલા કરુણ અકસ્માતના કારણોની જુદીજુદી શક્યતાઓ ચર્ચાઈ રહી છે જેમ કે, ડ્રાઈવરે રેડ સિગ્નલ હોવા છતાં બસ મારી મૂકી, ડ્રાઈવર પીધેલો હતો, બ્રેક ફેઈલ થયેલી વગેરે વગેરે. પણ મૂળભૂત કારણો કે પાયાના પ્રશ્નો પર ક્યારે ચર્ચા થશે ? એક ચોખવટ અહીં જરૂરી બને છે કે, આ લેખ અકસ્માત સર્જનાર ડ્રાઈવર કે એની એજન્સી કે ઈવન કોર્પોરેશનને છાવરવા માટે નથી લખાયો પણ રોજેરોજ સર્જાતી અને પ્રતિદિન વિકરાળ બનતી જઈ રહેલી ટ્રાફિક સમસ્યાનું તટસ્થ વિશ્લેષણ કરવા માટે લખાયો છે.
રસ્તાઓ વાહનોથી ઉભરાય નહીં તો જ નવાઈ કહેવાય
મેક્રો પિક્ચર એટલે કે બૃહદ ચિત્ર જોઈએ તો શહેરોની વસ્તીના પ્રમાણમાં અપૂરતી માળખાકીય સુવિધા મોટાભાગની ટ્રાફિક સમસ્યાના મૂળમાં છે. રોડની સાઇઝ એટલી ને એટલી રહે છે અને વાહનોની સંખ્યામાં પૂરઝડપે વૃદ્ધિ થઈ રહી છે. દરેક ઘરમાં ચાર ફેમિલી મેમ્બર હોય તો દરેક પાસે પોતાનું વાહન હોય છે. રાજકોટની વાત કરીએ તો કાર શેરીંગનો કોન્સેપ્ટ અહીંની પ્રજાને ગળે ઊતરે એવો પણ નથી અને આમ જુઓ તો પ્રેક્ટિકલ પણ નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ફક્ત જેમને વાહન લેવું પરવડે એવું નથી હોતું તેઓ જ કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં રસ્તાઓ વાહનોથી ઉભરાય નહીં તો જ નવાઈ કહેવાય! એમાં પણ રાજકોટના અમુક રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે એક એક ઇંચ જેટલી જગ્યા બે વાહનો વચ્ચે માંડ બચી હોય છે, એમાં અકસ્માત ન થવા દેવા માટે નિયમોની ઐસી તૈસી કરીને વાહન ચલાવતી પણ ડ્રાઇવિંગમાં કુશળ પ્રજાને શાબાશી આપવી પડે !

હવે આપણે માઇક્રો લેવલે રાજકોટના રસ્તાઓની સમસ્યાઓ તપાસીએ. રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં આશરે પાંચેક લાખની વસ્તી છે, જેમના નોકરી કે વ્યવસાયના સ્થળો પૂર્વ વિસ્તારમાં છે. દરેક ઘરમાંથી ફક્ત એક વ્યક્તિ પણ પૂર્વ વિસ્તારમાં જતી હોય તો દરરોજ એક લાખ વાહનો કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને રૈયા રોડ પર સવારે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે અને સાંજે પાછા ફરે છે. બધા જાણે જ છે કે જે યુનિવર્સિટી રોડ પર અકસ્માત સર્જાયો તે અને રૈયા રોડ, કાલાવાડ રોડ જેટલા પહોળા નથી.
હવે સમસ્યાના મૂળ તરફ જઈએ. કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને રૈયા રોડની અનુક્રમે પહોળાઈ 90 ફૂટ, 60_ફુટ અને 60 ફૂટ છે. એવામાં, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બ્યુટિફિકેશનના નામે RMC એ આ ત્રણેય રસ્તાઓ પર જે ડિવાઈડરો બનાવ્યા છે તેની પહોળાઈ અનુક્રમે કાલાવડ રોડ પર 3 ફૂટ, યુનિવર્સિટી રોડ પર 3 ફૂટ અને રૈયા રોડ પર 3 ફૂટ છે. [ડ્રોનથી લેવાયેલ ફોટા જુઓ] એટલે રેશિયો ચકાસો તો ખબર પડે કે કાલાવડ રોડ જે સૌથી વધુ પહોળો છે તેના પ્રમાણમાં યુનિવર્સિટી રોડ અને રૈયા રોડ પર રસ્તાની પહોળાઈના પ્રમાણમાં ડિવાઈડરની સાઈઝ હોવી જરૂરી છે. પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ એના માટે અતિ દુર્લભ કહેવાય એવી ‘સામાન્ય બુધ્ધિ’ નો ઉપયોગ કરવો પડે જે એમણે આ રસ્તાઓના ડિવાઈડરની ડિઝાઇન બનાવતી વખતે કર્યો હોય એવું જરાય લાગતું નથી.

આટલો રસ્તો સાંકડો શું કામ ?
રૈયા રોડ પર હનુમાન મઢીથી રૈયા સર્કલ વાળા સેકશનમાં ડિવાઈડર મધ્ય રેખામાં શું કામ નથી એની પાછળ પણ અધિકારીઓનો ભ્રષ્ટાચાર જ કારણભૂત છે. ફકત હનુમાન મઢી પાસેની દસ બાર દુકાનોને હટાવવી ન પડે (ફરસાણથી લઈને ડેરી વાળા કૉમ્પ્લેક્સ પહેલાની દુકાન સુધી) એટલે છેક રૈયા સર્કલ સુધી એક તરફ સાંકડો રસ્તો રાખેલો છે. એટલે હંમેશ માટે મઢી પાસે બોટલનેક ટ્રાફિક જામ રહે છે અને સામેની બાજુનો (શિવપરા મફતિયાપરા બાજુનો) આખો રસ્તો છેક રૈયા સર્કલથી હનુમાન મઢી સુધી સાંકડો રહે છે.
યુનિવર્સિટી રોડ કે જે કોટેચા ચોકથી શરૂ થાય છે એ છેક પંચાયત નગર સુધી ખૂબ સાંકડો છે છતાં એના પર _ ફૂટ પહોળા ડિવાઈડર ખડકવામાં આવેલાં છે. રૈયા રોડની હાલત પણ એટલી જ દયનીય છે. રૈયા રોડ પર આઝાદ ચોકથી હનુમાન મઢી સુધી જે રસ્તો પહોળો છે ત્યાં તો સમજી શકાય કે _ ફૂટ પહોળા ડીવાઈડર હજી ચલાવી લેવાય, પણ હનુમાન મઢીથી રૈયા સર્કલ રસ્તો સાંકડો બની જાય છે ત્યાં પણ એ જ સાઈઝના ડિવાઈડર? આ દીવા જેવી સ્પષ્ટ ભૂલથી સાબિત થાય છે કે RMCના એન્જિનિયરોમાં જ કોમન સેન્સનો અભાવ છે! હજી બીજી ભૂલ ત્યાં છે કે હનુમાન મઢીથી રૈયા સર્કલ સુધી ડિવાઈડર પણ રોડની બરાબર વચ્ચે એટલે કે મધ્ય રેખામાં નથી, જેથી રૈયા સર્કલથી હનુમાન મઢી આવતા વાહનોને અતિ સંકડાશનો સામનો કરવો પડે છે. અને વિચિત્રતા જુઓ, રૈયા સર્કલથી રૈયા ગામ તરફ રસ્તો પહોળો થઈ જાય છે ત્યાં સાવ અડધો ફૂટના ડિવાઈડર બનાવ્યા છે! આમ, સાંકડા રસ્તા પર પહોળા અને પહોળા રસ્તા પર સાંકડા ડિવાઈડરની ડિઝાઇન કયા ફળદ્રુપ ભેજાની પેદાશ હશે એ તપાસનો વિષય છે !

પાછું બ્યુટીફિકેશન એટલે? થોડાં થોડાં અંતરે પાતળા થડવાળા બટકણાં વૃક્ષો અને છૂટું છવાયું ઘાસ! જોવાની ખૂબી એ છે કે આ વૃક્ષોની બંને તરફ પણ જગ્યા ખુલી રહે એટલા પહોળા ડિવાઇડરો કરવામાં આવ્યા છે. આ જગ્યાનો બગાડ જ ટ્રાફિકની સમસ્યામાં સૌથી મોટું પરિબળ છે.

RMC એ પ્રજાનો વધુ આક્રોશ સહન ન કરવો હોય તો યુનિવર્સિટી રોડ અને રૈયા રોડ પરના આ મસમોટા પહોળા ડિવાઇડરો દૂર કરીને એની જગ્યાએ ચારેક ફૂટ ઊંચી (જેવી BRTS રૂટ પર છે) તેવી લોખંડની રેલીંગ નાખીને પ્રજાને રસ્તા પર એટલી જગ્યા કરી આપવી જોઈએ જેથી પ્રજા વાહન લઈને આ રસ્તાઓ પર નીકળે તો એટ લિસ્ટ શ્વાસ લઈ શકે અને સહી સલામત ઘરે પાછા ફરી શકે! અસ્તુ!