આજે રાષ્ટ્રીય કેરી દિવસ : કેસર કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે
આજે ૨૨ જુલાઈ એટલે રાષ્ટ્રીય કેરી દિવસ.. આજના દિવસે ગુજરાત કઈ રીતે કેરીના ઉત્પાદનમાં મોખરે છે, સાથે જ રાજ્ય સરકારના કયા કયા નવા પ્રયાસો થકી ગુજરાતની કેરી આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત થઈ છે તે જાણવું મહત્વનું છે.
ગુજરાતમાં બાગાયતી ફળ અને ફૂલોના પાકોનો કુલ વાવેતર વિસ્તાર 4,49,389 હેક્ટર છે, જે પૈકી 1,77,514 હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે.
ગુજરાતે છેલ્લા એક વર્ષમાં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષોમાં 2500 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી છે.
ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે આ કેરીને જીઆઇ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલ છે.
ગુજરાત રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા કેરીના ઉત્પાદનને વધારવા માટે ખેડૂતોને ₹15.29 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની કેરી વિદેશમાં નિકાસ થાય તે માટે બાવળા ખાતે ઈ-રેડિયેશન ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. આ પ્લાન્ટ થકી આશરે 210 મેટ્રિક ટન ઇ-રેડિયેટેડ કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે.
