રોજબરોજની ખટપટથી કંટાળી રાજકોટ બારનાં સેક્રેટરીનું રાજીનામુ : ઉપપ્રમુખ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો આરોપ
રાજકોટ બાર એસોસિએશનનાં સેક્રેટરી સંદીપ એમ.વેકરિયાએ બાર એસોસિએશનની ખટપટ અને કેટલાંક લોકોની જોહુકમી અને દખલગીરીથી કંટાળીને પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ છે. બાર એસોસિએશનનાં પ્રમુખ અને તમામ હોદેદારોને લખેલા પત્રમાં સંદીપ વેકરિયાએ બારમાં શું શું ચાલે છે તે અંગે જુદા જુદા 28 મુદ્દા લખ્યા છે. તેમણે કહ્યું છે કે, મને કોઈ સામે વાંધો નથી પણ હાલના ઉપપ્રમુખને મારી સાથે વાંધો છે અને મને આવી ખટપટમાં રસ નથી તેથી હું રાજીનામુ આપું છુ..તેમણે એવો આરોપ પણ મુક્યો છે કે મેં એક થી વધુ વખત રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો છે પણ કોઈ કારણસર તે સ્વીકારવામાં આવતું નથી.
સંદીપ વેકરિયાએ પોતાના લાંબા રાજીનામા પત્રમાં લખ્યુ છે કે, હું 2014થી સક્રિય છું અને બારનાં લાભાર્થે જ કામ કર્યું છે. મેં ક્યારેય બોડીમાં કોના માણસો છે તેના ઉપર ધ્યાન આપ્યું નથી અને કોઈ ભેદભાવ કર્યો નથી. ઉલટાનુ મારા ઉપર આ ફલાણાનો માણસ છે અને તેના માટે કામ કરે છે તેવી વાતો ફેલાવવામાં આવે છે. વધુમાં જયારે જયારે બેઠક હોય છે ત્યારે ત્યારે મોટાભાગની બેઠકોમાં દિલીપ પટેલની હાજરી હોય છે..આવી બેઠકોમાં કાં તો દરેક હોદેદાર બીજાને બોલાવી શકે તેવી છૂટ હોવી જોઈએ અથવા કોઈને છૂટ ન હોવી જોઈએ.
બેઠકોમાં પણ મારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. રાજીનામાના પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, કેટલીક બેઠકોમાં બારોબાર નિર્ણય લઈને માત્ર જાણ કરવામાં આવે છે જેની સાથે હું સહમત નથી. હું ગ્રુપમાં કાંઇક લખું તો મારી સાથે ગેર વર્તન કરવામાં આવે છે. ખાસ કરીને ઉપપ્રમુખ દ્વારા મારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. બારના ઉપપ્રમુખ જોહુકમી કરે છે અને તે ધારે તે કરી શકે છે.
આ પણ વાંચો : રાજકોટથી દિલ્હીની વધુ એક ઉડાન: આ તારીખથી એર ઇન્ડિયાની સવારની ફલાઇટ થશે ટેકઓફ
સંદીપ વેકરિયાએ વધુમાં લખ્યુ છે કે, બારના પ્રમુખની નજરમાં હું પીયુષ શાહનો માણસ છું અને ઉપપ્રમુખની નજરમાં હું અર્જુન પટેલનો માણસ છું..આવી ખોટી માનસિકતા સાથે હું સહમત નથી. મને બારના સભ્યોએ કામ કરવા માટે ચુંટયો છે, વિવાદ કરવા માટે નહી.હું આ બધી બાબતોથી કંટાળીને સ્વેચ્છાએ રાજીનામુ આપું છું..
