આજથી રાજકોટમાં ઉગશે બબ્બે સૂરજ !! નવરાત્રિનો થશે રંગેચંગે પ્રારંભ: ઠેર-ઠેર રંગબેરંગી ચણિયાચોલી, કેડીયું પહેરેલા ખેલૈયા જ દેખાશે
આજથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખાસ રાજકોટની વાત કરીએ તો અહીં દસ દિવસ સુધી દરરોજ બબ્બે સૂરજ ઉગવાના છે ! ખેલૈયાઓ આ રળિયામણી ઘડીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આખરે આવી જતાં તેને મન ભરીને માણી લેવા માટે રીતસરના તલપાપડ જોવા મળી રહ્યા છે. આજે રાત પડશે એટલે શેરીએ-ગલીએ રંગબેરંગી, મનમોહક ચણિયાચોલી, કેડીયું પહેરેલા ખેલૈયા જ જોવા મળશે. રાજકોટમાં આ વર્ષે ૪૭૭ જેટલી ગરબી તો ૧૬ જેટલા અર્વાચીન રાસોત્સવનું આયોજન થવાનું છે ત્યારે તેમાં દરરોજ ૧૦૦થી લઈ ૮,૦૦૦ સુધીના ખેલૈયાઓ રમતાં જોવા મળશે.
એકંદરે આજથી દશેરા સુધી રાજકોટમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની ધૂમ જ જોવા મળવાની છે જેમાં એક વર્ષના બાળકથી લઈ ૬૦ ર્વે સુધીના વૃદ્ધ પણ રાસ લેતાં જોવા મળશે.
શહેરમાં અર્વાચીન રાસોત્સવનો ટે્રન્ડ પાછલા થોડા વર્ષોથી વધ્યો છે પરંતુ તેના પહેલાં લગભગ દરેક વિસ્તારમાં નાની-મોટી ગરબીનું આયોજન થઈ જ રહ્યું છે. ખાસ કરીને કરણપરા, રામનાથપરા, જંકશન સહિતના વિસ્તારોમાં ગરબીનું આયોજન થાય છે અને તેમાં નાની બાળાઓ સહિતના રાસ લઈ મા દૂર્ગાની આરાધના કરે છે તે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને ભક્તિમય બની જાય છે. આ પ્રકારની ગરબી જ નવરાત્રીનું સૌથી મોટું `ઘરેણું’ હોવાનું લોકો જણાવી રહ્યા છે.
વળી, અર્વાચીન રાસોત્સવમાં પણ એક એકથી ચડિયાતા રાસોત્સવના ગીત વાગતાં હોય અને ખેલૈયા તેમાં રમે નહીં તેવું બની શકે ખરું ? આ વખતે રાજકોટમાં નવ દિવસ સુધી અર્વાચીન રાસોત્સવના ઢગલાબંધ આયોજન થયા હોવા છતાં પાસ મેળવવા માટે ખેલૈયાઓએ છેવટ સુધી હડિયાપટ્ટી કરવી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવરાત્રિનો તહેવાર શરૂ થયા બાદ લોકો દિવાળીની પણ એટલી જ આતૂરતાથી રાહ જોઈ રહ્યા હોય છે એટલે એમ કહી શકાય કે આજથી લઈ દિવાળી સુધી લોકો તહેવારમય બની જશે.
ખેલૈયાઓની એક જ વિનવણી; બસ, વરસાદ ‘દયા'રાખે તો સારું !
જન્માષ્ટમી પર એકધારા વરસાદને કારણે લોકોએ ઘરમાં જ રહેવું પડ્યું હતું અને તહેવારને મન ભરીને માણી શક્યા ન્હોતા. બીજી બાજુ નવરાત્રિ શરૂ થઈ રહી હોય તેમાં રાસ રમવા માટે ખેલૈયાઓના પગ રીતસરના થીરકી રહ્યા છે ત્યારે એવી વિનવણી પણ કરવામાં આવી રહી છે કે આ તહેવારમાં વરસાદ
દયા’ રાખે તો ઘણું સારું ! હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા નહીંવત્ છે આમ છતાં કુદરતનો `મૂડ’ ક્યારે બદલાઈ જાય તેની કલ્પના કાળા માથાનો માનવી કરી શકે ખરો ?
બજારો ખીલી ઉઠશે, દિવાળી સુધી ખરીદીનો રહેશે ધમધમાટ
સામાન્ય રીતે નવરાત્રિ પૂર્ણ થાય એટલે લોકો દિવાળીની ખરીદી શરૂ કરી દેતા હોય છે. જન્માષ્ટમી પર ખરીદી નહીંવત્ થઈ હોવાથી દિવાળી પર ખરીદી કરવામાં `કરંટ’ જોવા મળે તેવી શક્યતા છે ત્યારે આજથી બજારો પણ ખીલી ઉઠશે અને છેક દિવાળી સુધી ખરીદીનો ધમધમાટ જોવા મળશે. આ સાથે જ વેપારીઓના ચહેરા પણ તહેવારોને કારણે મલકાઈ રહ્યા છે.