ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવાર તા. ૨ માર્ચે અયોધ્યા જશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડક પણ જોડાવાના છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર તા. ૨ માર્ચના સવારે ૧૧:૦૦ કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ ૧૧:૩૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત કરશે તથા મોડી સાંજે અમદાવાદ પરત આવશે.