પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ: આક્રાંતાઓના આક્રમણ સામે અનેકગણી શક્તિ સાથે દર વખતે બેઠું થયું, જાણો ‘અવિનાશી’ મંદિરનો ઈતિહાસ
“સોમનાથ” ભારતનું પ્રથમ જ્યોતિિંર્લગ તેમજ દેશ-વિદેશના કરોડો હિન્દુની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથનું મંદિર માત્ર પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ તે ભારતીય સનાતન સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધા અને ક્યારેય ન ઝૂકનારા આત્મસન્માનની જીવંત મશાલ છે. “અવિનાશી” ગણાતા આ દેવાલયનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી છે, એટલો જ સંઘર્ષમય પણ રહ્યો છે.

આ એ પવિત્ર ભૂમિ છે.જ્યારે પણ આક્રમણખોરોએ સોમનાથની આભાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુજરાતના પનોતા પુત્રો અને વીર યોદ્ધાઓએ પોતાના રક્તથી આ ધરતીને સીંચીને `હર હર મહાદેવ’ના નાદ સાથે બલિદાન આપ્યા છે.આજે જ્યારે આપણે આઝાદી પછીના નૂતન મંદિર નિર્માણના 74 વર્ષ અને ગઝનવીના આક્રમણના 1000 વર્ષના સંધિકાળે ઊભા છીએ ત્યારે “સોમનાથ સ્વાભિમાન પર્વે” યોજાઈ રહ્યું છે. તેવામાં સોમનાથ મંદિરના ઇતિહાસમાં બનેલી કેટલીક ઘટનાની જાણ હોવી પણ આવશ્યક છે. તો જોઈએ.

ઈ.સ. 1025માં મહમદ ગઝનવીએ સોમનાથ પર કરેલું આક્રમણ
આ હુમલાને ભારતની મધ્યકાલીન સંપત્તિ અને આસ્થા પર થયેલા સૌથી મોટા હુમલાઓમાંથી એક ગણાય છે. આ આક્રમણ માત્ર લૂંટફાટ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે ભારતીય શૌર્ય અને શ્રદ્ધાની કસોટી સમાન હતું. ગઝનવીને જાણ થઈ હતી કે સોમનાથ મંદિર પાસે રત્નો, હીરા, ઝવેરાત અને સુવર્ણનો અખૂટ ભંડાર છે. જેનાથી આકર્ષિત થઈને ગઝનવીએ અફઘાનિસ્તાનથી નીકળીને મુલતાન અને રાજસ્થાનના રણ વિસ્તારમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે આશરે 30,000 સશસ્ત્ર ઘોડેસવાર સૈનિકો અને હજારો લૂંટારુઓ હતા. જ્યારે ગઝનવી સોમનાથના દરવાજે પહોંચ્યો, ત્યારે ત્યાંના કિલ્લા પરથી શિવભક્તોએ “હર હર મહાદેવ” ના નાદ સાથે પ્રતિકાર કર્યો. યુદ્ધ સતત ત્રણ દિવસ સુધી ચાલ્યું. પ્રથમ બે દિવસ રાજપૂત સૈનિકો અને શિવભક્તોએ ગઝનવીની સેનાને પાછળ ધકેલી દીધી.ઇતિહાસકારો લખે છે કે મંદિરને બચાવવા માટે આસપાસના વિસ્તારમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. લગભગ 50,000 જેટલા નિશસ્ત્ર કે અલ્પ-શસ્ત્રધારી ભક્તો મંદિરની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા.પરંતુ તેના ગયાના થોડા જ સમયમાં રાજા ભીમદેવ સોલંકીએ ફરીથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવી દીધું. આ ઘટનાએ સાબિત કર્યું કે પથ્થરની દીવાલો તૂટી શકે છે, પણ પ્રજાની આસ્થા નહીં.

ઈ.સ. 1299 અલાઉદ્દીન ખીલજીનું સોમનાથ પરનું આક્રમણ
સોમનાથના ઇતિહાસનું બીજું સૌથી મોટું અને કરુણ પ્રકરણ ગણાય છે. ગઝનવીના આક્રમણના આશરે 275 વર્ષ બાદ, દિલ્હી સલ્તનતનાસુલતાન અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત જીતવા અને સોમનાથને લૂંટવા માટે તેની સેના મોકલી હતી. તેના બે અત્યંત વિશ્વાસુ સેનાપતિઓ ઉલુઘ ખાન અને નુસરત ખાનને એક વિશાળ લશ્કર સાથે મોકલ્યા તે સમયે ગુજરાત પર વાઘેલા વંશના અંતિમ રાજા કરણઘેલો (કરણદેવ વાઘેલા) શાસન કરતા હતા.કરણદેવ ખીલજીની શક્તિશાળી સેના સામે હારી ગયા અને દેવગીરી (મહારાષ્ટ્ર) તરફ પલાયન કરી ગયા. આ સાથે જ આક્રમણકારો માટે સોમનાથનો માર્ગ મોકળો થઈ ગયો.ખીલજીના સેનાપતિઓ ઉલુઘ ખાન અને નુસરત ખાન જ્યારે સોમનાથ પર આક્રમણ કરવા આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમને રોકવા માટે લાઠીના રાજકુંવર હમીરજી ગોહિલ અને ભીલ સરદાર વેગડાજી ભીલે જે પરાક્રમ દાખવ્યું હતું, તે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ‘સોમનાથની સખાતે’ હમીરજી ગોહિલ માત્ર 16-17 વર્ષની નાની ઉંમરના યુવાન હતા. જ્યારે તેમને જાણ થઈ કે ખીલજીની સેના સોમનાથ તોડવા જઈ રહી છે, ત્યારે તેમણે કેસરિયા કરવાનો નિર્ણય લીધો. `પહેલું સુખ શિવના ચરણોમાં’ એમ માનીને તેઓ ચોરીના ફેરા અધવચ્ચે છોડીને લગ્નના જોડે જ રણમેદાનમાં નીકળી પડ્યા હતા.હમીરજી ગોહિલ જ્યારે સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ગીરના જંગલોમાં તેમની મુલાકાત ભીલ સરદાર વેગડાજી ભીલ સાથે થઈ.હમીરજીએ જ્યારે વેગડાજીને પૂછ્યું કે “શું તમે સોમનાથની રક્ષામાં સાથ આપશો?” ત્યારે વેગડાજીએ ગર્વથી જવાબ આપ્યો કે “સોમનાથ તો અમારો બાપ છે, એના માટે માથું આપવું એ તો અમારું સૌભાગ્ય છે.વેગડાજીએ કિલ્લાના દરવાજે જબરદસ્ત યુદ્ધ કર્યું અને હમીરજીની સાથે જ વીરગતિ પ્રાપ્ત કરી.એવું કહેવાય છે કે યુદ્ધમાં હમીરજીનું માથું કપાઈ ગયું હતું, છતાં તેમનું ધડ (કબંધ) હાથમાં તલવાર લઈને દુશ્મનોનો સફાયો કરતું રહ્યું હતું. આ જોઈને આક્રમણકારો પણ થથરી ગયા હતા. આજે પણ સોમનાથના મુખ્ય દ્વાર પાસે હમીરજી ગોહિલની મૂર્તિ અને સ્મારક તેમના બલિદાનની સાક્ષી પૂરે છે.હમીરજી ગોહિલ (રાજપૂત) અને વેગડાજી ભીલ (ભીલ સમુદાય) નું સાથે લડવું એ દર્શાવે છે કે સોમનાથ માટે આખો સમાજ એક હતો.ખીલજીના આક્રમણ બાદ રાજા મહીપાલદેવ દ્વારા ફરી મંદીરનું નિરમાણ કરવામાં આવ્યું હતું.

ઔરંગઝેબનું આક્રમણ અને ફરમાન (1706)
આને સોમનાથના ઇતિહાસનું સૌથી ક્રૂર પ્રકરણ માનવામાં આવે છે, કારણ કે તેનો ઉદ્દેશ્ય માત્ર લૂંટફાટનો જ નહીં, પરંતુ મંદિરનું અસ્તિત્વ કાયમ માટે મિટાવી દેવાનો હતો.ઔરંગઝેબે તેના શાસનકાળ દરમિયાન બે વાર સોમનાથ પર હુમલો કર્યો હતો. પ્રથમ હુમલો 1665માં કર્યો, પરંતુ જ્યારે તેને જાણ થઈ કે હિન્દુઓએ ફરી ત્યાં પૂજા શરૂ કરી છે, ત્યારે ઈ.સ. 1706માં તેણે આપ્યો હતો કે સોમનાથ મંદિરને એવી રીતે તોડી પાડવામાં આવે કે ત્યાં ફરી ક્યારેય મંદિર હોવાના પુરાવા પણ ન રહે. તેણે મંદિરના સ્થાને મસ્જિદ જેવું માળખું ઊભું કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.સોમનાથના ઇતિહાસમાં નાગા સાધુઓ અને દશનામી સંપ્રદાયના સાધુઓના બલિદાનની ગાથા અમર છે. જ્યારે ઔરંગઝેબનું લશ્કર તોપો અને હથિયારો સાથે આવ્યું, ત્યારે હજારો સાધુઓએ ભગવો ધારણ કરી, હાથમાં ત્રિશૂળ અને તલવારો લઈ “હર હર મહાદેવ” ના નાદ સાથે દુશ્મનો પર તૂટી પડ્યા મંદિરના ગર્ભગૃહને બચાવવા માટે કિલ્લાની બહાર માનવ સાંકળ બનાવી હતી. મુઘલ સૈન્યની તોપો સામે આ વીર સાધુઓ છાતી કાઢીને ઉભા રહ્યા હતા. 18મી સદીના અંતમાં જ્યારે ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કર સોમનાથ પધાર્યા, ત્યારે જોયું કે મુખ્ય મંદિર ખંડેર હતું.તેમણે દૂરંદેશી વાપરીને મુખ્ય મંદિરની બાજુમાં જ એક ભૂગર્ભ મંદિર બંધાવ્યું, જેથી જો ભવિષ્યમાં ફરી આક્રમણ થાય તો શિવિંલગ સુરક્ષિત રહે. આજે પણ આ મંદિર `જૂના સોમનાથ’ તરીકે ઓળખાય છે.

સરદાર પટેલનો ઐતિહાસિક સંકલ્પ (નવેમ્બર, 1947)
મંદિરનું આધુનિક નિર્માણ એ માત્ર એક ઈમારતનું બાંધકામ નહોતું, પરંતુ સેંકડો વર્ષોની ગુલામીની માનસિકતામાંથી ભારતની મુક્તિ અને સાંસ્કૃતિક પુનરુત્થાનની ઉદ્ઘોષણા હતી. તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા હતા. તેઓ સોમનાથના ખંડેર મંદિરની મુલાકાતે ગયા. મંદિરની દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે સમુદ્રના જળની અંજલિ ભરીને ત્યાં જ સંકલ્પ કર્યોઃ “નવા ભારતમાં સોમનાથનું આ મંદિર ફરીથી તેના અસલ ગૌરવ સાથે સ્થાપિત થશે.”દિલ્હી જઈને તેમણે આ દરખાસ્ત કેબિનેટમાં મૂકી, જેને મંજૂરી મળી.જ્યારે સરદાર પટેલ – કે.એમ. મુનશી આ પ્રસ્તાવ લઈને મહાત્મા ગાંધી પાસે ગયા, ત્યારે ગાંધીજીએ એક ખૂબ જ મહત્વની સલાહ આપી કે આ ધાર્મિક કાર્ય છે, તેથી તેમાં સરકારનો રૂપિયો વપરાવો જોઈએ નહીં. આ મંદિર જનતાના દાનથી બનવું જોઈએ, જેથી લોકોમાં તેની માલિકીનો ભાવ જાગે.આ વાત સ્વીકારી સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી, નવું મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા ‘કૈલાશ મહામેરુ પ્રાસાદ’ શૈલીમાં બનવું સ્થપતિ પ્રભાસંકર સોમપુરાની નિમણૂક કરવામાં આવી.મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા, જ્યોતિિંર્લગની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવ્યો 11 મે, 1951આ પ્રસંગે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
