લોકોને મનોરંજન મળી શકે તે રીતે મેળો યોજાશે : રાજકોટ કલેકટર ડૉ. ઓમપ્રકાશનું નિવેદન
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના સ્થાને મુકાયેલા વર્ષ 2016ની બેચના આઈએએસ ડૉ. ઓમપ્રકાશે સોમવારે રાજકોટના 51મા જિલ્લા ક્લેક્ટર તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ દોઢ વર્ષ સુધી તેઓએ ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે રાજકોટમાં ફરજ બજાવી હોય રાજકોટથી સારી રીતે પરિચિત છે. સાથે જ તેઓએ જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો પહોંચે એ રીતે કામગીરી કરશે તેમ જણાવી રાજકોટમાં એસઓપીના પાલન સાથે લોકોને વધુમાં વધુ મનોરંજન મળે તે પ્રકારે લોકમેળાના આયોજન કરાશે તેમ પણ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થયેલા ડૉ. ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે.તેઓએ એમબીબીએસ, ડીપીએચનો અભ્યાસ કરેલો છે. આ અગાઉ, તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા ત્રણ વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે પણ દોઢ વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી આઈ.એ.એસ. તરીકે રહી ચૂક્યા છે.

રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતી વખતે તેમણે કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો સરળ રીતે પહોંચે એ પ્રાથમિકતા રહેશે. ગરીબ માણસોને એવી પ્રતીતિ થવી જોઈએ કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમના માટે કામ કરી રહ્યું છે. રાજકોટમાં અગાઉ કામ કરી ચૂક્યા હોવાથી આ અનુભવ જિલ્લાના વિકાસ અને વહીવટી કામગીરીમાં ખૂબ ઉપયોગી થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : ગંદકીનું ઘર બનેલા શાસ્ત્રીમેદાનને વિકસાવવા પ્રયાસો તેજ : એમ્ફી થિયેટર, બગીચો બનાવવાનો પ્રોજેક્ટ સરકારમાં ફસાયો
આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ ક્ષેત્રોમાં ખૂબ ક્ષમતાઓ છે. આરોગ્ય અને શિક્ષણની સાથે જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે તેમજ જણાવ્યું હતું.
રાજકોટમાં લોકમેળાના આયોજન અંગે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની એસઓપીના પાલન સાથે તેમજ લોકોને વધુને વધુ મનોરંજન મળી રહે તે માટે જરુરી ફેરફારો કરી તંત્રના વિવિધ વિભાગો સાથે સંકલન બેઠક કરી આ અંગનો નિર્ણય લેવામાં આવશે.નોંધનીય છે કે, લોકમેળામાં રાઇડ્સ સંચાલકોએ એસઓપીના પાલન સામે બહિષ્કાર કરી ફોર્મ વિતરણ બાનમાં લીધું છે ત્યારે નવનિયુક્ત જિલ્લા કલેકટર લોકમેળાના આયોજનને લઈ કેવો ઉકેલ શોધે છે તે જોવું રહ્યું.