હળવદમાં કરુણાંતિકાની પરાકાષ્ઠા : સાત દીકરીઓ ઉપર આવેલ પુત્રનું જન્મ સાથે જ મૃત્યુ થતા પિતાનું હાર્ટફેઈલ
હળવદ તાલુકાના શક્તિનગર ગામે બ્રાહ્મણ પરિવાર સાથે કુદરતે અત્યંત ક્રુરતા દાખવી હોય તેવી કરુણ ઘટના સામે આવી છે. સાત-સાત દીકરીઓ બાદ દીકરો જન્મતા વેંત જ મૃત્યુ પામતા તેના આઘાતમાં પિતાનું હાર્ટએટેકથી મૃત્યુ થતા નાના એવા ગામમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, બીજીતરફ આઘાતમાં ગરક થયેલા બ્રાહ્મણ પરિવારમાં મોટી દીકરીએ દીકરાનો ધર્મ નિભાવી પિતાને કાંધ આપી અગ્નિદાહ આપતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે તાજેતરમાં સાત-સાત દીકરી બાદ દીકરાનો જન્મ થયો હતો.જો કે જન્મતા વેંત જ દીકરાનું મૃત્યુ થતા આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું પુત્રના મૃત્યુના 15 જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. બીજીતરફ પિતાના મૃત્યુ બાદ હાલમાં પરિવારે આધાર સ્તંભ ગુમાવી દીધો છે. મૃતક ભાવેશભાઈની સાત દિકરીઓમાંથી સૌથી મોટી દીકરી 19 વર્ષની છે અને સૌથી નાની દીકરી 5 વર્ષની છે.
પરિવારમાં એકને એક દીકરાનો જન્મ થતા વેંત જ તે મૃત્યુ પામવાની સાથે પરિવારના આધાર સ્તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલએ પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો.અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઉભા રહી માનવતા દાખવી હતી.વધુમાં સામાજિક અગ્રણીઓએ શક્તિનગરના આ ભૂદેવ પરિવારને ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમાન મદદ કરી પુણ્યનું ભાથું બાંધવા પણ અપીલ છે.