અમદાવાદમાંથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળ્યો
અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે પોલીસને સ્થાનિકો તરફથી એક કોલ મળ્યો હતો કે, હંસ રેસીડેન્સી નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. જેને પગલે આનંદનગર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે જોતા એક ખુલ્લા પ્લોટમાં અવાવરું જગ્યાએ પુરુષનો મૃતદે પડ્યો હતો. માથા વગરનો આ મૃતદેહ જોઇ પહેલા તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાદમાં આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરનાર વ્યક્તિથી માહિતી એકત્રિત કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.
એફએસએલ ટીમની મદદ લેવાઇ
બનાવ અંગે પોલીસને જાણ થતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર આધેડ વયના આ પુરુષની લાશ અહીંયા કોઈ હત્યા કરીને ફેંકી ગયું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી જનારા ઈસમોને શોધવા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. આનંદનગર વિસ્તારમાં આવેલા પાંચા તળાવ પાસેના આ બનાવ અંગે પોલીસને વહેલી સવારે જાણ થતા પોલીસે પ્રાથમિક તબક્કે એફએસએલ ટીમની પણ મદદ લઈ તપાસ શરૂ કરી હતી.
FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે, અંદાજિત 15 દિવસ પહેલાનો મૃતદેહ આ અવાવરું ખુલ્લા પ્લોટમાં અજાણ્યા ઇસમો ફેંકી ગયા હોઈ શકે છે. ત્યારે સવાલ એ પણ છે કે આ પુરુષની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને કોણ તેને અહીંયા અવાવરું પ્લોટમાં નાંખી ગયું તે બાબતે આનંદ નગર પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે.