એક અત્યંત મહત્વના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું ભાડુઆત પાસે જો પોતાની માલિકીનું ઘર હોય તો મકાનમાલિક તેને કાયદેસર રીતે ખાલી કરાવી શકે છે. ન્યાયાધીશ સંજીવ ઠાકરે કહ્યું હતું કે મકાનમાલિકો એવા ભાડૂઆતોને કાયદેસર રીતે બહાર કાઢી શકે છે જેમણે યોગ્ય વૈકલ્પિક રહેઠાણ ખરીદ્યું હોય. હાઇકોર્ટે સ્મોલ કોઝ કોર્ટ અને એપેલેટ કોર્ટ દ્વારા અગાઉ જારી કરાયેલા ખાલી કરાવવાના આદેશોને સમર્થન આપ્યું હતું.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ચાર દાયકાથી કેટલાક લોકો ભાડે રહેતા હતા. આ મિલકત હાલના વાદીએ ભરેલ કબજે ખરીદ્યુ હતું. નવા મકાનમાલિકે તેમના મકાન ખાલી કરાવવાની માંગણી કરતો દાવો દાખલ કર્યો હતો, જેમાં નોંધ્યું હતું કે મૂળ ભાડૂઆતનું અવસાન થયું હતું, પરંતુ તેની વિધવા અને ત્રણ પુત્રો હજુ પણ જગ્યા પર કબજો ધરાવે છે. મકાનમાલિકે પુરાવા રજુ કર્યા હતા કે મૂળ ભાડૂઆતના પુત્રોએ ઘુમા અને નવા વાડજ વિસ્તારોમાં ઘર ખરીદ્યા હતા.
અદાલતે કહ્યું હતું કે, ભાડુઆત પાસે કબજામાં નવા રહેઠાણ છે અને તેઓ આ મિલકત ખાલી કરવા માટે બંધાયેલા છે.
ચુકાદામાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, “કાયદો સ્પષ્ટ છે. એકવાર ભાડૂઆત મિલકત પ્રાપ્ત કરી લે, પછી મકાનમાલિક પ્રતિવાદી પાસે યોગ્ય વૈકલ્પિક રહેઠાણ હોવાના આધારે ખાલી કરાવવાનો હકદાર છે.”