સુરત : ખુલ્લી ગટરમાં પડેલા 2 વર્ષના માસૂમનું મોત ; 24 કલાક બાદ મળ્યો બાળકનો મૃતદેહ, માતા-પિતાનું આક્રંદ
સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
વિગતો મુજબ સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.
ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડીરાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી. આજે (6 ફેબ્રુઆરી)એ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને NDRFની મદદ પણ લેવામાં આવી હતી. જ્યારે NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.