કચ્છના નખત્રાણા પાસે ગણપતિના પંડાલ ઉપર પથ્થરમારો, મૂર્તિ ખંડિત: 4 દિવસમાં ચોથી વખત રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
સુરતમાં સૈયદપુરાના ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો આવો જ એક વધુ બનાવ કચ્છમાંથી સામે આવ્યો છે. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરાયો હતો એટલું જ નહી પણ ગામના મંદિર પર વિધર્મીઓ દ્વારા લીલો ઝંડો પણ લગાવવામાં આવ્યો છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સુરતની જેમ અહી પણ પથ્થરમારા માટે સગીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કચ્છજિલ્લામાં નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદર ગામે કેટલાક વિધર્મીઓ દ્વારા શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હતું. વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરી ભગવાન ગણેશજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે શરૂઆતમાં તો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ચારે બાજુથી ભીંસ વધતા પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી હતી.
માહિતી મુજબ, નખત્રાણા પોલીસે આ મામલે 5 પુરુષ અને 3 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. ગંભીર પ્રકારની ઘટનામાં મંદિર પર ધજા હટાવી, લીલો ઝંડો લહેરાવાયો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
કચ્છનાં એસ.પી. સાગર બાગમારે પત્રકારોને કહ્યું હતું કે, હાલમાં સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસે ૩ સગીરો સામે જુવેનાઈલ જસ્ટીસની કલમ હેઠળ કાર્યવાહી કરી છે જયારે અન્ય પાંચ આરોપીઓ સામે જરૂરી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.