- 10X10ની ઓફિસમાં બેસી કરેલા ભ્રષ્ટાચારના પોપડા ઉખેળવાનું શરૂ
- 25થી વધુ આર્કિટેક્ટની ફાઈલ મળતાં હવે તેમના પર આવશે તપાસનો ગાળિયો
- `સીટ’ સમક્ષ નિવેદન નોંધાવી ચીફ ફાયર ઓફિસર ખેર કામે વળગ્યા: ઠેબા હજુ પણ સંપર્કવિહોણા
- સાગઠિયાના `વહીવટદારો’ના નામ પણ મેળવાયા: એસીબી, ડીસીબી, સીઆઈડી ક્રાઈમ સહિતના મનપા કચેરીમાં જ ધામા
વોઈસ ઓફ ડે, રાજકોટ
અગ્નિકાંડ પાછળ જવાબદારોને `બિહામણા’ ચહેરા બેનકાબ કરવા માટે પોલીસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. `રિંગ માસ્ટર’ તરીકેની ભૂમિકા ભજવનાર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા સહિત ચારની ધરપકડ કર્યા બાદ હવે એસીબી અને સીઆઈડી ક્રાઈમે તેની ઓફિસ તેમજ ઘરમાંથી ભ્રષ્ટાચારના પોપડા ઉખેડવાનું શરૂ કર્યું છે. એમ.ડી.સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા તેમજ ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કર્યા એકાદ કલાક બાદ એસીબીએ મનપા કચેરીમાં ત્રાટકીને સાગઠિયા તેમજ ઠેબાની ઓફિસ ફંફોસી નાખી હતી. ખાસ કરીને સાગઠિયાની ઓફિસમાંથી એસીબીને `પાપનું પોટલું’ મળ્યું હોવાનું બહાર આવ્યું છે. સાગઠિયાની ઓફિસમાંથી ૨૫થી વધુ આર્કિટેક્ટ કે જેઓ બાંધકામના પ્લાન પાસ કરાવવા માટે નિયમિત અહીં અવર-જવર કરતાં હતા તે ફાઈલ મળી આવતાં હવે તેમના ઉપર તપાસનો ગાળિયો આવશે. દરમિયાન સીઆઈડી ક્રાઈમે વધુ ત્રણ જવાબદારોની પૂછપરછ માટે ઉઠાવ્યા હોવાની વાતો પણ વહેતી થઈ છે.
એસીબીએ એમ.ડી.સાગઠિયાની ઓફિસમાં ચેકિંગ શરૂ કર્યા બાદ સૌથી પહેલાં મહત્ત્વની ફાઈલ અને દસ્તાવેજો કબજે કર્યા હતા તેના આધારે તપાસ આગળ વધારવામાં આવશે. આ ઉપરાંત તેમના નિવાસસ્થાનેથી પણ ઘણું સાહિત્ય મળતાં તેનો કબજો લેવામાં આવ્યો છે. હાલ આ અંગે એસીબી દ્વારા કશો ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે મોટા ધડાકા-ભડાકા થવાની શક્યતા નકારી શકાતી નથી.
દરમિયાન સીઆઈડી ક્રાઈમે આ મામલે ટીપી શાખામાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ ઈજનેર રુદ્રવાદી ગૌતમ ફફલ તેમજ ફાયરમેન જયેશ ડાભીની પૂછપરછ શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે એસીબી, ડીસીબી અને સીઆઈડી ક્રાઈમના ધામા અત્યારે મનપા કચેરીમાં જ જોવા મળી રહ્યા છે.
બીજી બાજુ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર ગાંધીનગર ખાતે સીટ સમક્ષ હાજર થયા હતા જ્યાં તેમનું નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે તેઓ વર્દી સાથે મનપામાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. જો કે તેમની સાથે `સીટ’ સતત રહેતી હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું.
બેોક્સ
એક પણ ભ્રષ્ટાચારીને છોડાશે નહીં: એસીબી અધિકારી ગોહિલ
એસીબીના મદદનિશ નિયામક કે.એચ.ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાગઠિયા, ઠેબા સહિતનાને ત્યાં ચાલી રહેલી તપાસ એકદમ સંવેદનશીલ હોવાથી અત્યારે તેની જાહેરાત કરી શકાય તેમ નથી. જો કે આ કાંડમાં જે કોઈ પણ સામેલ હશે તે પૈકીના એક પણને છોડવામાં આવશે નહીં. એસીબી અત્યારે સઘન તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ કોને ત્યાંથી શું મળ્યું તેનો ખુલાસો કરવામાં આવશે.