ગુજરાતમાં અકસ્માતની ઘટનાના ચોંકાવનારા આંકડા : 10 વર્ષમાં અકસ્માતમાં 75 હજાર લોકોએ જીવ ગુમાવ્યો
ભારતમાં જુદી જુદી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રોડ રસ્તાની હાલત સારી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ ખરાબ રસ્તાને લીધે જે પ્રાણઘાતક અકસ્માતો થાય છે તે અંગે કોઈ વાત કરતુ નથી. હજુ હમણાં કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એવુ કહ્યું હતું કે, ભારતમાં અકસ્માતો એટલા થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નીચાજોણુ થાય છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે ગુજરાતમાં અકસ્માતમાં થતા મોતના આંકડા જાહેર કર્યા છે અને તે અનુસાર,એકલા ગુજરાતમાં જ છેલ્લા દસ વર્ષમાં ૭૫ હજાર લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે.
કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે 2013 અને 2022 વચ્ચેના 10 વર્ષના ગાળામાં ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 75,738 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકમાં ગુજરાત આઠમા ક્રમે છે. 2016 અને 2022 વચ્ચેના સાત વર્ષના સમયગાળામાં ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયના 4,072, 18 થી 25 વર્ષની વચ્ચે 10,426, 25 થી 60 વર્ષની વચ્ચેના 35,725 લોકો અને 60 વર્ષથી વધુ વયના 3,095 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.
2013 અને 2022 ની વચ્ચે જે રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ માર્ગ અકસ્માત મૃત્યુ નોંધાયા છે તેમાં ઉત્તર પ્રદેશ (1,97,283), તમિલનાડુ (1,65,847), મહારાષ્ટ્ર (1,30,613), કર્ણાટક (1,06,544), મધ્ય પ્રદેશ (1,06,544) નો સમાવેશ થાય છે. 04,874), રાજસ્થાન (1,02,712) અને આંધ્ર પ્રદેશ (86,035)નો સમાવેશ થાય છે.
સાંસદ ગુરમીત સિંહ મીત હૈરના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે રોડ સેફ્ટી અંગેના સ્ટોકહોમ ઘોષણા અનુસાર, ભારતમાં ૨૦૩૦ સુધીમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુ અને ઇજાઓની સંખ્યામાં 50% ઘટાડો કરવા પ્રતિબદ્ધ છે. સરકાર માર્ગ સુધારણા કરી રહી છે.
સૌથી વધુ મોત ટુ-વ્હીલરચાલકોનાં થાય છે
લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં 2019 અને 2022 ની વચ્ચે માર્ગ અકસ્માતમાં 2.57 લાખ ટુ-વ્હીલર સવારોના મોત થયા છે. વાહનોની ટક્કરથી 1.11 લાખ રાહદારીઓના પણ મોત થયા હતા. આ જ સમયગાળા દરમિયાન, 18,050 સાયકલ સવારો, કાર, જીપ અને ટેક્સીમાં 82,301 લોકો અને ટ્રકમાં 43,411 લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા.