સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોલેજ ગયેલી બે સખીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
મળતી વિગતો મુજબ, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી દરરોજની જેમ સવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. જોકે, સાંજ સુધી બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા અને ફોનનો કોઈ જવાબ ન મળતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો :IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે અંતે આત્મીય સંસ્કારધામ મંદિર પરિસરના બાથરૂમમાંથી બંને યુવતીઓની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ યુવતીઓએ આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે એફ.એસ.એલ. (FSL) ની મદદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મંદિર પરિસરમાંથી લાશ મળી આવતા ભક્તો અને સ્થાનિકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
