રાજકોટવાસીઓએ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનાં નામે ન્હાઈ નાખવાનુ રહેશે…૨૦૧૪થી આજી નદીના રીવરફ્રન્ટની વાતો થાય છે નક્કર કોઈ કામગીરી નહી
- મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યુ કે, જે નદીમાં આખુ વર્ષ પાણી ઉપલબ્ધ હોય ત્યાં જ રીવરફ્રન્ટની માંગણી કરવી જોઈએ.
- મોટા પ્રોજેક્ટને તડકે મુકીને રામનાથ મહાદેવ પાસેના ડેવલપમેન્ટ માટેના કન્સલ્ટન્ટની નીમણુંક થઇ
રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટવાસીઓને આજી નદીના કાંઠે સાબરમતી રીવરફ્રન્ટ જેવો જ રીવરફ્રન્ટ બનાવવામાં આવશે તેવા જે સપના દેખાડ્યા હતા તે હવામાં જ ઉડી ગયા છે. રાજકોટવાસીઓએ હવે આવા અમદાવાદ જેવા પ્રોજેક્ટની આશા રાખવાની નથી તે સ્પષ્ટ બન્યુ છે.
રાજકોટનો રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અભેરાઈએ મૂકી દેવો પડે તેવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એવો મત વ્યક્ત કર્યો છે કે અમદાવાદ રીવરફ્રન્ટની સફળતા બાદ રાજ્યમાંથી નાના નાના શહેરોમાંથી પણ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ડીમાન્ડ આવે છે પણ જે શહેરમાં અર્થાત જે નદીમાં બારેય માસ પાણી ઉપલબ્ધ રહેતું હોય ત્યાં જ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવો જોઈએ. મુખ્યમંત્રીનાં આ પ્રકારના મત પછી રાજકોટવાસીઓએ આજી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ન્હાઈ નાખવાનું રહેશે.
બધા જાણે છે કે, રાજકોટની આજી નદી બારમાસી નદી નથી અને તેમા ચોમાસા સિવાય પાણી હોતુ જ નથી. આ નદી ચોમાસા સિવાયના આઠ મહિના કોરી અને ગંદકીવાળી જ રહે છે. આ નદીમાં આસપાસના રહેણાંક વિસ્તારોનું ગંદકીવાળુ પાણી ઠલવાય છે અને આવું ન થાય તેનો નીચોડ કોઈ પાસે નથી. ૨૦૧૪માં રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે મોટી મોટી વાતો કરવામાં આવી હતી અને અત્યારે ૨૦૨૪ ચાલે છે પરંતુ કાગળ ઉપર ચિતરામણ અને કન્સલ્ટન્ટની નિમણુંક સિવાય કોઈ કામગીરી થઇ નથી.
આ પ્રોજેક્ટ સાથે પહેલેથી જ સંકળાયેલા સુત્રોએ વોઈસ ઓફ ડેને કહ્યુ હતું કે, પહેલા આજી રીવરફ્રન્ટની યોજના હાથ ઉપર લેવામાં આવી હતી અને ગંદુ પાણી ચોખ્ખું થઈને જ નદીમાં ઠલવાય તેવો પ્લાન્ટ નાખવાની વાત હતી પરંતુ તે શક્ય બન્યુ નથી.સમય જતા શાસકોને પણ આ પ્રોજેક્ટમાં રસ રહ્યો નથી અને હવે માત્ર રામનાથ મહાદેવ મંદિરની આસપાસ પાંચસો-પાંચસો મીટરના વિસ્તારને ૨૦૦ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અમદાવાદની HCP ડીઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નીમવામાં આવી છે. હવે આ કન્સલ્ટન્ટ ક્યારે પોતાનો રીપોર્ટ આપશે અને ક્યારે નક્કર કામગીરી થશે તે વિશે કહેવા માટે અત્યારે મહાપાલિકા પાસે કોઈ અધિકૃત અધિકારી નથી. હાલમાં આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કોઈને જવાબદારી સોંપવામાં આવી નથી.
મુખ્યમંત્રીએ શું કહ્યુ ?
વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, રીવરફ્રન્ટનો વિચાર નાના નાના ગામો સુધી પહોંચી ગયો છે અને આ ગામોમાંથી મારી પાસે રીવરફ્રન્ટ પ્રોજેક્ટની મંજુરી માટે આવે છે. મારે એ કહેવું છે કે, પહેલા અમદાવાદનો રીવરફ્રન્ટ પ્રોજેક્ટ જુઓ, ત્યાં રહેતા લોકોનું પુનર્વસન કેવી રીતે થયું છે. બધાને રીવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવો છે …સારી વાત છે પરંતુ પહેલા એ જોવું જોઈએ કે આખુ વર્ષ પાણી ઉપલબ્ધ છે કે કેમ…જો બારેય માસ નદીમાં પાણી ઉપલબ્ધ કરી શકાય એમ હોય તો આ પ્રોજેક્ટ સારો છે.