અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના હો તો વાંચી લો આ ખાસ માહિતી
અમદાવાદ એરપોર્ટે ટ્વીટ કરીને તા. ૧૨ સુધી આયોજિત જુદી જુદી મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને આપી માહિતી
ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, આ સમિટને ધ્યાનમાં રાખીને આખા ગાંધીનગરને લોખંડી સુરક્ષામાં ફેરવી દેવામાં આવ્યુ છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટ જોવા મળશે. જેમાં અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને મંત્રીઓ પણ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટે સામાન્ય મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
અમદાવાદ એરપોર્ટે ટ્વીટ કરીને આ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે વધારાનો સમય ફાળવવા મુસાફરોને વિનંતી છે. એટલે કે જે મુસાફરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે તેમણે 12 જાન્યુઆરી સુધી એરપોર્ટ નક્કી સમય કરતાં વહેલા પહોંચી જવું પડશે. કારણ કે વીવીઆઈવી મુવમેન્ટને કારણે ઔપચારિકતાઓમાં વધારે સમય લાગી શકે છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી છે.
12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો આવવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા મજબૂત રાખવામાં આવી છે.