રાજકોટના કારખાનેદારને દીકરીના સગાઇ-લગ્ન 2.15 કરોડમાં પડ્યા; હવે કર્યો આપ*ઘાતનો પ્રયાસ
રાજકોટના કોઠારિયા ગામમાં રહેતા અને લોઠડા ગામે જય ગાત્રાળય ટેક્નોકાસ્ટ નામનું કારખાનું ધરાવતાં પટેલ વૃદ્ધને પુત્રીની સગાઈ અને લગ્ન 2.15 કરોડમાં પડતાં મોટાપાયે વ્યાજની ચુંગાલમાં ફસાઈ જવાને કારણે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ કારખાનેદારને આટલા મોટા દેણામાં ઉતારવામાં બે વ્યાજખોરનો હાથ હોય પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગે કારખાનેદાર સુરેશભાઈ લક્ષ્મણભાઈ સાંગાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સાડા ત્રણ વર્ષ પહેલાં પુત્રીની સગાઈ અને લગ્ન માટે પૈસાની જરૂર પડતાં તેમણે કારખાના પાસે જ ચાની દુકાન ધરાવતાં રામાભાઈ ભરવાડ પાસેથી 10 % લેખે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ પેટે દર મહિને તેઓ રામા ભરવાડને બે લાખ વ્યાજ ચૂકવતા હતા અને જો વ્યાજ આપવામાં મોડું થાય તો પેનલ્ટી પણ ભરપાઈ કરતા હતા. આ રીતે ત્રણ વર્ષમાં તેમણે પેનલ્ટી સહિત 80 લાખ ચૂકવી આપ્યા છતાં રામા ભરવાડ હજુ પણ 15.50 લાખની માંગણી કરતો હતો.
રામા ભરવાડનો હિસાબ પૂર્ણ કરવા માટે સુરેશભાઈએ ખોખડદડ ગામના મનિષ રંગાણી પાસેથી 10 % લેખે પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું દર મહિને 50 હજાર વ્યાજ ચૂકવતા હતા. બે વર્ષમાં મનિષ રંગાણીને પણ દસ લાખ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં વધુ પાંચ લાખની માંગણી કરતો હોય બન્નેને પૈસા ચૂકવવા માટે સુરેશભાઈએ અલગ-અલગ નવ બેન્કમાંથી સવા કરોડની લોન લીધી હતી. જો કે ચારેક મહિનાથી કારખાનું બરાબર ચાલી રહ્યું ન હોય મનિષ રંગાણી અને રામા ભરવાડે કડક ઉઘરાણી શરૂ કરી જબદરસ્તીથી કારખાને આવી ટેબલના ખાનામાંથી ચેકબુક લઈ લીધી હતી.
ચેકબુક લઈ લીધા બાદ બન્ને વારંવાર ધમકી આપતા હતા કે જો વ્યાજ અને મુદ્દલ પરત નહીં આવે તો જાનથી મારી નાખશું સાથે સાથે ચેકમાં મોટી રકમ ભરી ફરિયાદ કરશું. આ બધાથી કંટાળી ગત 3 મેએ સુરેશભાઈએ ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં આઠ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ સુરેશભાઈ ભાનમાં આવતાં તેમની ફરિયાદના આધારે મનિષ રંગાણી અને રામા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.