રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી જેમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવાની સાથે જિલ્લા કલેકટરે સસ્તા અનાજની તમામ દુકાનોની નિયમિત તપાસ કરવા સૂચના આપી હતી સાથે જ પદાધિકારીઓએ છેવાડાના લાભાર્થીઓ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે જોવા ટકોર કરી હતી.
પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ નિયમિત અને વિક્ષેપ વગર કરવા, નિયમિત દુકાનોની તપાસ કરવી, વિવિધ વિસ્તારોમાં વન નેશન-વન રેશનના કેમ્પ યોજવા વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના પદાધિકારીઓ દ્રારા અધિકારીઓને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતે માર્ગદર્શન આપી જરૂરિયાતમંદ એક પણ લાભાર્થી સરકારશ્રી દ્વારા વિતરણ થતાં અનાજના લાભથી વંચિત ન રહે તે જોવા તાકીદ કરી હતી.