- પેટા: કાલે શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહેશે: આજી ડેમ ઓવરફ્લો થતાં મોટાપાયે કચરો તણાઈ આવ્યો’તો: ૫૦ ટનથી વધુનો નિકાલ
રાજકોટમાં ભારે વરસાદ વરસ્યા બાદ હવે `વિરામ’ લીધો છે. જો કે વરસાદને કારણે ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે જેમાં સૌથી વધુ કચરો જો ક્યાંય એકઠો થયો હોય તો તે આજી નદીમાં આવેલા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરમાં થવા પામ્યો છે. આજી-૧ ડેમ ઓવરફ્લો થવાને કારણે આજી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય મોટાપાયે કચરો તણાઈ આવ્યો હોવાથી દર્શનાર્થે જનારા ભાવિકોની હાલત કફોડી થઈ જવા પામી છે.
બીજી બાજુ મહાપાલિકાના પદાધિકારીઓ મંદિર ખાતે દોડી ગયા હતા અને ફેલાઈ ગયેલો કચરો નિહાળી અધિકારીઓને આજે સાંજ સુધીમાં રામનાથ મંદિર ચોખ્ખું-ચણાંક કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં ભાવિકો મંદિર પર દર્શનાર્થે ઉમટી પડવાના છે ત્યારે તેમણે ગંદકી વચ્ચે દર્શન ન કરવા પડે તે માટે તમામ શાખાના વડાઓને સફાઈ ઝુંબેશ આક્રમક રીતે કરવા અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમામ કચરાનો નિકાલ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.
દરમિયાન શનિવારથી જ સફાઈ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી અને સાંજ સુધીમાં ૫૦ સફાઈ કર્મીઓએ ૨ જેસીબી-ડમ્પર મારફતે ૫૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરી નાખ્યો હતો.