રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
રાજકોટ સહિત રાજ્યમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયે PM કેરમાંથી આપવામાં આવેલા લાખો રૂપિયાની કિંમતના એક-એક એવા 400 વેન્ટિલેટર ધૂળ ખાઈ રહયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જો કે, તાજેતરમાં સિવિલના એક અધિકારીના ધ્યાનમાં આ બાબત આવતા હાલમાં આ તમામ વેન્ટિલેટરને PMSSY બિલ્ડિંગના પહેલા માળે રૂમમાં પુરી દઈ રૂમની તમામ બારીઓ અને દરવાજા ઉપર આડશ લગાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, હાલ સિવિલમાં 200થી 250 જેટલા અન્ય કંપનીના વેન્ટિલેટર ચાલુ હાલતમાં હોય દર્દીઓની સારવારમાં કોઈ મુશ્કેલી આવે તેમ ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીની પ્રથમ લહેરમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા. કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં રાજ્યમાં પણ હાહાકાર મચાવ્યો હોય વર્ષ 2021માં સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત ચૌધરી મેદાનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરી કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી.આ સમયે રાજકોટ સિવિલમાં પીએમ કેર હેઠળ ધમણ સહિતની કંપનીના 400થી વધુ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા હતા. જો કે, વર્ષ 2022 અને ત્યાર બાદ કોરોના મહામારી હળવી બનતા સમય જતા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઉભી કરવામાં આવેલ ટેમ્પરરી હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી.

બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલને પીએમ કેર હેઠળ ફાળવવામાં આવેલ ધમણ સહિતના આધુનિક વેન્ટિલેટર બિન ઉપયોગી બનતા PMSSY બિલ્ડિંગમાં ખુલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, એક વેન્ટિલેટર રૂપિયા દોઢ લાખથી લઈ ચાર લાખ કે તેથી પણ વધારે કિંમતનું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાલમાં નકામા બની ગયેલા વેન્ટિલેટર ખુલ્લામાં પડયા હોવાનું ધ્યાને આવતા એક ઉચ્ચ અધિકારીએ હાલમાં આ તમામ વેન્ટિલેટર PMSSY બિલ્ડિંગના પહેલા માળે રૂમમાં મુકાવી દીધા હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો : LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 200થી 250 જેટલા વેન્ટિલેટર હાલમાં ચાલુ કન્ડિશનમાં હોવાનું અને દર્દીઓની સારવારમાં કોઈ મુશ્કેલી ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ ધમણ સહિતની કંપનીના બ્લ્યુ ટુથ કનેક્ટિવીટી વાળા નકામા બની ગયેલા વેન્ટિલેટરમાં પ્રેસર સહિતની સમસ્યા હોવાથી ઉપયોગમાં ન લેવામાં આવતા હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં હાલમાં સિવિલમાં નક્કામા થઇ પડેલા વેન્ટિલેટર અન્ય હોસ્પિટલોમાં રીપેરીંગ કરી ફાળવવામાં આવે તો કરોડો રૂપિયાના આ સાધનો દર્દીઓ માટે ઉપયોગમાં આવી શકે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.