રાજકોટ બસકાંડ : મનપાના અધિકારીઓ દ્વારા મૃતકોના પરિજનોને 15 લાખની સહાય અર્પણ ; સાંસદ રૂપાલા, મોકરીયાએ પરિવારની લીધી મુલાકાત
16 એપ્રિલનો એ ગોઝારો દિવસ જ્યારે રાજકોટ બસ કાંડની ઘટના બની હતી. સિટી બસ નં.ઈ-52એ બુધવારની સવાર 4 પરિવારો માટે આજીવન ગોઝારી જેવી બનાવી દીધી હતી. યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે વાયુવેગે જાણે હવામાં ઉડાડતો હોય એ સ્પિડે ચાલકે બસ દોડાવતા માત્ર ચાર સેકન્ડમાં અર્ધો ડઝનથી વધુ વાહનોને ઠોકરે ચડાવી અસ્માતની હારમાળા સર્જી દીધી હતી. ચાર સેકન્ડના ગમખ્વાર અકસ્માતમાં ચાર-ચાર માનવ જીંદગીના પ્રાણ હરી લીધા હતા. ત્યારે રાજકોટ મનપા દ્વારા મૃતકો અને ઇજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી હતી. ત્યારે આજ રોજ મૃતકના પરિજનોને સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
સિટીબસ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને સહાય અર્પણ
રાજકોટ સિટીબસ અકસ્માતમાં ચાર સેકન્ડમાં જ ચાર-ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો ત્યારે આજ રોજ રાજકોટ મનપા દ્વારા જાહેર કરાયેલી સહાયના ચેક આજરોજ આપવામાં આવ્યા હતા. મૃતક (૧)રાજુભાઈ મનુભાઈ ગીડા (૨) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી(૩) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ(૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડના પરિવારજનોને રૂ.15 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મૃતકોના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી હતી અને પરિવારજનોનેસહાયના ચેક અર્પણ કરી દિલાસો વ્યક્ત કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મૃતકોના પરિવારજનોને આશ્વાસન અને દિલાસો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંબંધી કોઇપણ કામ પડે તો રાજકોટ મહાનગરપાલિકાના દરવાજા આપના માટે ખુલ્લા છે.
સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને સાંસદ રામભાઈ મોકરિયાએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી

રાજકોટના ઈન્દીરા સર્કલ બનેલી ગોઝારી દુર્ઘટનાને લઈને સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને સાંસદ રામભાઈ મોકરિયા આજ રોજ મૃતકોના ઘરે પહોંચ્યા હતા અને પરિવારની મુલાકાત લીધી હતી તેમજ શોક વ્યક્ત કર્યો હતો. સિટી બસથી થયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર ચાર હતભાગી મૃતકોની આત્માને ઈશ્વર શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે તથા ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના.