સાધુ-સંતો માટે જલ્દીથી પગદંડી બનાવો: જૈન સમાજનો સુર,પાલીમાં જૈન મુનિને કચડી નાંખવાની ઘટનાને પગલે દેશભરમાં રોષ
રાજસ્થાનમાં જૈન મુનિને કચડી નાંખવાના વિરોધમાં અમદાવાદમાં મોટી સંખ્યામાં રોષભેર રેલી નિકળી હતી.પાલીમાં ગત તા.28 મેએ વિહાર કરી રહેલા એક જૈન મુનિ માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં જૈન સમાજમાંથી સાધુ સંતોની સુરક્ષાને લઈને રોષ ફેલાયો છે.

અમદાવાદમાં સંત સુરક્ષા રેલી નીકળી હતી જેમાં જૈન અગ્રણીઓ અને સાધુ સંતોએ આ અકસ્માતમાં થયેલી ઘટના નું સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને તે માટે સાધુ સંતોની યાત્રાને સુરક્ષિત કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી: શાસ્ત્રી મેદાન પાસે કાર ચાલકે મોટરસાયકલને ઠોકરે લેતા વૃદ્ધનું મોત
જૈન સમાજે એવી પણ રજૂઆત કરી હતી કે અગાઉ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સાધુ સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેના પર કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. રાજહંસ સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે સરકારની ફરજ છે કે દરેક લોકોનું રક્ષણ કરવું જોઈએ જ્યારે સાધુ સંતોનાં રક્ષણ માટે જલ્દીથી પગદંડી બનાવવાની સુવિધા કરવામાં આવે. આ રેલીની શરૂઆત વાસણા થી થઈ હતી અને પ્રીતમ નગરના અખાડા ખાતે સભા યોજવામાં આવી હતી .ગરમી હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આ ઘટના માટે વિશ્વ હિન્દુ પરિષદે પણ કમિટી બનાવીને તપાસ કરવાની માંગ કરી છે.