ખાનગી એમ્બ્યુલન્સનો ધંધો ભાંગશે! રાજકોટ સિવિલની 6 સહિત જિલ્લાની 26 એમ્બ્યુલન્સ 108ને સોંપવા આદેશ
ગુજરાત સરકારે ભારત-પાકિસ્તાનની યુદ્ધ જેવી પરિસ્થિતિ સમયે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયની અમલવારી કરી રાજ્યભરની ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ, સીએચસી અને પીએચસી હસ્તક રહેલી તમામ 543 એમ્બ્યુલન્સ MRI ગ્રીન એટલે કે 108ને સોંપી દેવા નિર્ણય કર્યો છે. સરકારે આ સાથે જ તમામ સરકારી હોસ્પિટલોની એમ્યુલન્સના રજીસ્ટ્રેશન નંબર અને મોડેલ સહિતનું લિસ્ટ પણ મોકલી આપી સરકારી એમ્બ્યુલન્સ 108ના પ્રતિનિધિને સોંપવા હુકમ કર્યો છે જે અન્વયે રાજકોટ સિવિલની 6 સહિત જિલ્લાની કુલ 26 એમ્બ્યુલન્સનો કબ્જો સોંપવામાં આદેશ જારી કરવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગત તા.9 મેના રોજ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 118, સામુહિક આરોગ્ય કેન્દ્રની 310, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 59, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની 31 અને મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની 21 મળીને કુલ 542 એમ્બ્યુલન્સ 108 મારફતે સંચાલન કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું. જે બાદ તા.10-05-2025ના પરિપત્રથી રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના તમામ સીએચસી, પીએચસી સેન્ટર અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની એમ્બ્યુલન્સ આરસી બુક તેમજ અન્ય સાધનો સાથે 108ને સોંપી દેવા હુકમ કરવામાં આવ્યો છે.
વધુમાં રાજ્યના આરોગ્ય વિભાગના આ નિર્ણયને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલની 6 એમ્બ્યુલન્સ ઉપરાંત સબ ડીસ્ટ્રીકટ હોપિટલ જેતપુર, ગોંડલ, ધોરાજી, જસદણ, આટકોટ, ધોરાજી, સાંણથણી. કોટડા સાંગાણી, પાનેલી મોટી, ઢાંક, સુપેડી,મોટી મારડ, શાપર, લોધીકા, પડધરી, સરપદડ ફૂવડવા અને ખોડાપીપર સહિતના પીએચસી અને સીએચસી સેન્ટરને કુલ મળી 26 એમ્બ્યુલન્સ સોંપી દેવા હુકમ કરવામાં આવ્યો છે. સિવિલ તેમજ અન્ય હોસ્પિટલની એમ્બ્યુલન્સ 108ને સોંપવાની સાથે 108ને હાર્ટએટેક, સર્પદંશ, સ્ટ્રોક, પ્રસુતિ, અકસમાત,સહિતના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરવા ઉપરાંત એકથી બીજી હોસ્પિટલ રીફ્રેના કિસ્સામાં પણ 108ને કોલ કરવા પડશે.
સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ સ્ટાફને શબવાહિની ચલાવવાની
રાજકોટ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સીએચસી અને પીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સ 108ને સોંપવા હુકમ કરવામાં આવતા સિવિલ સહિતની અન્ય હોસ્પિટલમાં રહેલા એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિતના સ્ટાફને અન્ય જગ્યાએ સમાવવા પડશે.ઉપરાંત હોસ્પિટલમાં થતા મૃત્યુના કિસ્સામાં સિવિલના એમ્બ્યુલન્સ સ્ટાફ મારફતે કામગીરી કરાવવામાં આવે તેમ હોવાનું પણ જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે.
એમ્બ્યુલન્સ સેવા 108ને સોંપાતા ખાનગી એમ્બ્યુલન્સનો ધંધો ભાંગશે
રાજ્યભરમાં સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ સેવા 108ને સોંપી દેવાના નિર્ણયને પગલે ખાનગી એમ્બ્યુલન્સના ધંધાર્થીઓને ફટકો પડશે, કારણ કે અત્યાર સુધી એમ્બ્યુલન્સ નથી, ડ્રાઇવર નથી તેવા બહાના હેઠળ ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો રિફરના કેસમાં મન પડે તેવા ભાવ વસુલતા હતા પરંતુ હવે રીફર કેસમાં પણ 108 મેદાને આવતા ખાનગી એમ્બ્યુલન્સને ફટકો પડશે.