ગુજરાતમાં ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં ગણાય
ખાનગી શાળાઓની દાદાગીરી અને મનમાની સામે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહતરૂપ પગલું ભરવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા કે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત રહેશે નહીં, જેને લઈને શિક્ષણ વિભાગે તમામ શાળાઓને કડક આદેશો જારી કર્યા છે.
RTE એક્ટની કલમ-14 હેઠળ સ્પષ્ટ આદેશ:
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને (DPEO) સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે આરટીઈ (RTE) એક્ટની કલમ-14 મુજબ કોઈપણ શાળા પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે કોઈ પણ બાળકનો પ્રવેશ અટકાવી શકે નહીં.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી ગાંધીનગરના ધક્કા બચશે, રોજગારી અને વિકાસને મળશે નવી ગતિ
શું હતી સમસ્યા?
અગાઉ અનેક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ આપતી વખતે વાલીઓ પાસે પ્રી-સ્કૂલિંગ અથવા બાલવાટિકાનું સર્ટિફિકેટ માંગવામાં આવતું હતું. જો વાલીઓ સર્ટિફિકેટ રજૂ ન કરી શકે, તો બાળકને પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ ગેરરીતિને ગંભીરતાથી લઈને સરકારે હવે આ નિયમ સામે સકંજો કસ્યો છે.
પ્રવેશ માટે માત્ર આ બે બાબતો જ ધ્યાને લેવાશે:
પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 ના પ્રવેશ માટે હવે માત્ર નીચેની બે બાબતો જ માન્ય ગણાશે:
બાળકનું જન્મ પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ)
સરકાર દ્વારા નિર્ધારિત વયમર્યાદા
નિયમભંગ કરનાર શાળાઓ સામે થશે કડક કાર્યવાહી:
શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે તેઓ આ નિયમોનું કડકાઈથી પાલન કરે. જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ જઈને વાલીઓ પાસે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ માંગશે અથવા પ્રવેશ નહિ આપે, તો તેને RTE એક્ટનો ભંગ ગણવામાં આવશે અને સંબંધિત DEO-DPEO દ્વારા તે શાળા સામે કાનૂની અને કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
