ચૂંટણી પૂર્વે ચેન્જ: રાજ્યમાં પ્રથમ વખત એક સાથે 772 PIની બદલી,PSI માંથી પ્રમોશન મેળવી એજ સ્થળે રહેલા 254 PIને મળશે હવે નવી મંઝીલ
રાજ્યમાં હવે સ્વરાજની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઇ શકે તે દિવસો દૂર નથી. ઘડીઓ ગણાઇ રહી છે. એ પૂર્વે જ કાયદો-વ્યવસ્થા માટે કી રોલ રૂપ પોલીસ વિભાગમાં એક જ દિવસમાં એક સાથે 772 પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલીઓના ઓર્ડરથી પોલીસ બેડામાં ભારે ચહેલ પહેલ થઇ પડી છે. ગત વર્ષે પ્રમોશન મેળવ્યા બાદ લાંબા સમયથી એને એજ સ્થળે (પી.એસ.આઇ.ના પોસ્ટીંગ વાળી જગ્યાએ) રહેલા નવા 254 પી.આઇ.ને હવે નવેક માસના અંતરાલ બાદ નવી મંઝિલ (બદલીના સ્વતંત્ર નવા સ્થળ) મળશે. જ્યારે 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની પણ રાજ્યમાં અલગ-અલગ શહેર, જિલ્લાઓમાં બદલીઓ કરાઇ છે. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો બદલાવ આવ્યો છે. રાજકોટ સિટીમાં 19 પી.આઇ.ની બદલી થઇ, નવા 17 આવ્યા જ્યારે રૂરલમાં 13 પી.આઇ. બદલાયા, 9 પી.આઇ.ની નિમણુંક થઇ.
ચૂંટણી પૂર્વેના મેજર ચેંજમાં 772 પોલીસ ઇન્સ્પેક્ટર્સને બદલાવવામાં આવ્યા તેમાં રાજકોટ શહેરના વી.એમ.ઝણકાંટ, આર.જી.બારોટ, બી.ટી.અકબરી, એમ.જી.વસાવા, જે.એસ.ગામીત, એમ.એ.ઝણકાંત, જે.આર.દેસાઇ, એમ.એચ.ભાટી, એ.બી.જાડેજા, એમ.એમ.સરવૈયા, કે.જે.કરપડા, મહિલા પી.આઇ. આઇ.એન.સાવલીયા, એસ.એન.રાઠોડ, એસ.એન.રાણે, બી.પી.રમ્યા, એન.વી.હરીયાણ, બી.વી.બોરીસાગર, એમ.જે.હુણની મળી 18 પી.આઇ. બદલાયા જ્યારે દેવભૂમિ દ્વારકાથી એસ.એમ.સોલંકી, કે.કે.ગોહિલ, અન્યો જે.ડી.પરમાર, એમ.બી.વાછાણી, એસ.ડી.ફૂલતરીયા, એચ.પી.ગઢવી, આર.ડી.પરમાર, ડૉ. એ.એલ.વરચંદ, એસ.બી.ભુતીયા તેમજ અમિત એન. જાની, પી.ડી.ગોંડલીયા, જે.વી.વાઢીયા, સી.એન.દવે, એન.બી.ચૌધરી, એસ.પી.સોઢા, એમ.ડી.મકવાણા, જે.જે.હળવદીયા મળી 17 પી.આઇ. નવા આવ્યા.
રાજકોટ રૂરલ એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા ઉપરાંત એલ.આર.ગોહિલ સહિત 13 પી.આઇ.ની અન્યત્ર બદલીઓ થઇ જ્યારે કે.આર.સિસોદીયા, વાય.એમ.ગોહિલ, એ.એમ.દેસાઇ, જે.પી.ઝાલા સહિત 9 પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ રૂરલમાં નવા મુકાયા છે. એલ.સી.બી. પી.આઇ. ઓડેદરાની બદલી થતા હવે તેમના સ્થાને કોણ આવશે તેના પર ગ્રામ્ય પોલીસ સ્ટાફની નજર મંડાયેલી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં જે.ડી.ઝાલા, એન.એસ.ઘેટીયા, એસ.પી.જાડેજા, વી.એસ.સિંધવ, જે.ડી.સરવૈયા, જામનગરમાં એચ.બી.ધાંધલીયા મુકાયા છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં બદલીઓ થઇ છે.
ચૂંટણી પૂર્વે બદલીઓ થતા જેઓ લાંબા સમયથી રાહમાં હતા તેઓ રાજી થયા અને જેઓને તેમના મનગમતા સ્થળ કે નજીકના ઉપરી અધિકારીઓની રાહબરીમાં જવુ હતું કે અધિકારીઓએ માંગ્યા હશે અને ત્યાં પોસ્ટિંગ મળતા તેઓ પણ ખુશ હશે. તેવી પોલીસ વર્તુળોમાં વાતો વહેતી થઇ છે.
એક વર્ષથી હતા બદલીની રાહમાં
અંતે હવે સ્વતંત્ર પોસ્ટિંગ મળશે
રાજ્યના પોલીસ બેડામાં ફરજ બજાવતા 2016ની બેચના 254 પી.એસ.આઇ.ને ગત વર્ષે ત્રણ તબક્કામાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશન મળ્યા હતાં. બઢતી સાથે સામાન્યત બદલીઓ થતી જ હોય પરંતુ 254 પી.એસ.આઇ. પી.આઇ. તો બન્યા પણ કોઇને ક્યાંય બદલી ન મળી અને ત્યાં ને ત્યાં જ રહ્યા. બાદમાં તો બદલીઓનું કોઇ લીસ્ટ આવે એટલે આ નવા પી.આઇ.ને એવો ઇંતજાર રહેતો કે આપડું નામ લીસ્ટમાં હશે? આવીને આવી રાહમાં એકાદ વર્ષ જેવો સમય વીત્યો. જે પી.આઇ.ની અંડરમાં પી.એસ.આઇ. તરીકે નોકરી કરતા ત્યાં સેક્નડ પી.આઇ.માં કે આવી રીતે જો મેળ પડ્યો તેમને ક્યાંક ક્યાંક લોકલી જ સ્વતંત્ર પોલીસ સ્ટેશન કે પોસ્ટિંગ મળ્યા બાકી અન્યોએ તો રાહમાં જ સમય વિતાવવો પડ્યો અને અંતે હવે બદલીઓ થતાં હવે આવા મહત્તમ નવા પી.આઇ. (જો કે હવે તે 1 વર્ષ જૂના પણ થયા) હાશ છૂટકારો થયો કે નવુ પોસ્ટિંગ મળ્યાનો આનંદ હશે.
4 DySPને S.P.ના પ્રમોશનઃ રાજકોટ શહેરના પૂર્વ અધિકારીનો સમાવેશ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર ડીવાયએસપીને એસ.પી.ના પ્રમોશન અપાયા છે. હાલ જે જગ્યાએ ફરજ પર છે તે અપગ્રેડ કરી યથાવત રખાયા છે. રાજકોટ શહેરમાં અગાઉ પી.આઈ. તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ સુરત સિટીમાં એ.સી.પી. તરીકે ફરજ બજાવતા કાલાવડના કોઠા ભાડુકીયાના વતની વિરભદ્રસિંહ એમ. જાડેજાનો સમાવેશ થયો છે. વી.એમ. જાડેજાને હાલ સુરતમાં જ વર્તમાન જગ્યા પર ડી.સી.પી. તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરાના એ.સી.પી. જે.આઈ.વસાવા, વિરમગામ એસ.આર.પી. જુથ-૨૦ના એસ.બી.બારોટ અને વિસનગર ડીવાયએસપી ડી.એમ.ચૌહાણને એસ.પી. તરીકે બઢતી મળી છે.
