એડવાન્સ વેરો ભરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ ! જાણો શું છે RMCની મિલકત વેરા વળતર-વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજના
મહાપાલિકા દ્વારા આજથી મિલકત વેરા વળતર, વોટરટેક્સ ઉપર વળતર, વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સહિતની યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. વેરાની રકમ લોકો ઓનલાઈન-ઓફલાઈન એમ બન્ને રીતે તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ઉપર જઈને ભરપાઈ કરી શકશે.
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતનાએ જણાવ્યું કે તા.31 મે-2025 સુધીમાં વેરાની પૂરી રકમ ભરપાઈ કરનારને 10% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત 1 જૂન-2025થી 30 જૂન-2025 સુધીમાં વેરો ભરપાઈ કરનારને 5% વળતર મળશે. જો મહિલા મિલકતધારક હોય તો તેમને વધારાનું 5% વળતર આપવામાં આવશે. ઓનલાઈન ચૂકવણું કરનાર મિલકતધારકને વધારાનું 1% વળતર મહાપાલિકા દ્વારા અપાશે. સતત ત્રણ વર્ષથી આ યોજના હેઠળ વેરો ભરપાઈ કરનારને લોયલ્ટી બોનસ પેટે વિશેષ 1% વળતર, 40%થી વધુ દિવ્યાંગ હોય અને ફક્ત તેમના નામે જ મિલકત હોય તો તેને ફક્ત એક મિલકત પૂરતું વધારાનું 5% વળતર આપવામાં આવશે. આર્મીમેન, એક્સ આર્મીમેન તેમજ તેમના વિધવા પત્ની, એક્સ આર્મી મેનના પત્નીના નામે રહેલી એક મિલકતને 100% વળતર મળશે.
જ્યારે વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમનો પણ આજથી અમલ શરૂ થશે. મિલકતધારકો દ્વારા 31-5-2025 સુધીમાં વોર્ડ ઓફિસ અથવા ઓનલાઈન નોંધણી કરાવીને ચડત મિલકત વેરો તેમજ વ્યાજનું ચૂકવણું ચાર હપ્તે કરી શકશે.
ઉદાહરણ તરીકે કોઈ મિલકતધારકનો વેરો-વ્યાજ સહિતની રકમ 12,000 રૂપિયા બાકી છે અને તે આ યોજનાનો લાભ લ્યે છે તો બાકી રકમ 12,000 ઉપરાંત ચાલું વર્ષનો મિલકતવેરો ચાર હજાર મળી કુલ 16,000 રૂપિયાના ચાર હપ્તા કરાશે. આ પછી તેણે પ્રથમ હપ્તા પેટે 7,000 હજાર ભરવાના રહેશે. આ પ્રમાણે 7,000ના ચાર હપ્તા ભરપાઈ કરશે એટલે 2025-26થી 2028-29 સુધીનો ચાર વર્ષનો ચડત અને જે-તે વર્ષનો તમામ વેરો ભરપાઈ થઈ જશે.