28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમરેલીના દુધાળા આવશે
પદ્મશ્રી ઉદ્યોગપતિએ બનાવેલ ભારતમાતા સરોવરનું વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ
રાજકોટ : આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તે પૂર્વે વડાપ્રધાન મોદી અમરેલી જિલ્લામાં પદ્મશ્રી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ તૈયાર કરેલ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ અમરેલી જિલ્લામાં જળસંચયના કામો કરવા કમરકસી કરોડો રૂપિયાના ખર્ચે લાઠી તાલુકાના દુધાળા ગામે ભારતમાતા સરોવર નિર્માણ કર્યું છે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકર્પણ કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, નોંધનીય છે કે, સવજીભાઈ ધોળકિયાએ માદરે વતન લાઠી તાલુકામાં આવેલ ગાગડીયો નદીને પુનઃજીવિત કરવા માટે નદીમાં નાના-મોટા 30 ચેકડેમ ઉપરાંત ભારતમાતા સરોવર અને હરિકૃષ સરોવરનું નિર્માણ કરી લાઠી, બાબરા પંથકમાં આવેલ દુધાળા, કેરીયા અને હરસુરપુર દેવળીયા સહિતના વિસ્તારની ધરતીને લીલીછમ બનાવવા અનેરા પ્રયાસો હાથ ધર્યા છે.
જળસંચય થકી જળક્રાંતિ સર્જનાર ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનો ડ્રિમ પ્રોજેક્ટ ભારતમાતા સરોવર તૈયાર થઇ જવાની સાથે આ વર્ષે મેઘરાજા પણ મનમુકીને વરસ્યા હોય નવનિર્મિત સરોવર પાણીથી છલોછલ બનતા આગામી તા.28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, નોંધનીય છે કે,વડાપ્રધાન નાના-મોટા અનેક પ્રોજેક્ટનું વર્ચ્યુલી જ લોકાર્પણ કરતા હોય છે પરંતુ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટતમ મિત્ર હોય ભારતમાતા સરોવરના લોકાર્પણ પ્રસંગે ખાસ દુધાળા ગામના મહેમાન બનનાર હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમરેલી જિલ્લાની મુલાકાત પાછળ અમરેલી જિલ્લાના ભાજપ સંગઠનમાં ચાલતી સખળ ડખળ પણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે સાથે જ તાજા ભૂતકાળમાં ઇકો સેન્સેટિવ ઝોનને લઈ અમરેલી જિલ્લાના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને કારણે પણ તેઓ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સવજીભાઈએ અમરેલી જિલ્લામાં બનાવ્યા છે 150 તળાવ
પદ્મશ્રી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા જળસંચયના ચુસ્ત આગ્રહી છે તેઓ દ્વારા લાઠી, બાબરા અને લીલિયા તાલુકાની ગાગડીયો નદીને પુનઃ જીવિત કરવા નદી ઉપર 30 નાના-મોટા ચેકડેમ બનાવવાની સાથે અત્યાર સુધીમાં 150 જેટલા ચેકડેમ બાંધી ચુક્યા છે અને જળસંચયની આ કામગીરીને કારણે અમરેલી જિલ્લામાં 1500 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઇ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.