હવે જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટીને જમીન સંપાદનની સત્તા : રાજ્ય સરકારે જમીન સંપાદન માટેના અગાઉના પરિપત્ર કર્યા રદ
ગુજરાત સરકારે જમીન સંપાદન પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે મહત્વનો ઠરાવ પસાર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનના કાયદા હેઠળ ઊભા થતા વિવાદો અને વિલંબને ટાળવાનો છે. આ માટે, સરકારે અગાઉના 2 પરિપત્રોને રદ કરી કલેકટરની અધ્યક્ષતામાં 3 સભ્યોની જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિની રચના કરી છે, જે જમીનના બજાર ભાવ નક્કી કરશે.
આ પણ વાંચો : રાજકોટનો ‘કચરામેળો’: 93000 કિલો કચરો કાઢ્યો છતાં હજુ ઢગલાં યથાવત, રેસકોર્સ ફરતે ચીતરી ચડી જાય તેવો કચરો
ગુજરાત સરકારે જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવવાની સાથે વિવાદોને દૂર કરવા માટે 14 ઓગસ્ટ, 2025 ના રોજ એક નવો ઠરાવ બહાર પાડયો છે. આ ઠરાવ મુજબ અગાઉ વર્ષ 2014 અને 2022 ના પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે. હવે, કાયદાની કલમ-26 હેઠળ બજાર કિંમત નક્કી કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ એક નવી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી) અને નગર નિયોજક (વર્ગ-1) નો સમાવેશ થાય છે. આ પગલાથી જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનશે અને સંપાદક સંસ્થાઓ પરનું નાણાકીય ભારણ પણ ઘટશે.
આ પણ વાંચો : રાજકોટમાં તસ્કરોનો તરખાટ : છ દિવસ બંધ રહેલા ત્રણ ફ્લેટમાંથી 7.77 લાખની ચોરી
ઉલ્લેખનીય છે કે, અગાઉ જમીન સંપાદન પ્રણાલીમાં બજાર કિંમત નક્કી કરવા માટે લેન્ડ પ્રાઇસ કમિટીની રચના થતી હતી. જોકે, આ પ્રક્રિયામાં ઘણીવાર સ્પષ્ટતાનો અભાવ હતો કે કયા તબક્કે બજાર કિંમત નક્કી કરવી. આ વિલંબને કારણે માત્ર સંપાદન કાર્યવાહીમાં જ મોડું થતું નહોતું, પરંતુ તેના કારણે સંપાદક સંસ્થાઓ પર વધારાનો નાણાકીય બોજ પણ આવતો હતો, જે વિકાસ કાર્યોને અટકાવતો હતો.આ સમસ્યાઓના સમાધાન માટે, સરકારે જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિની રચના કરી છે. આ સમિતિનો ઉદ્દેશ જમીન સંપાદન કાયદાની કલમ-26 હેઠળ બજાર કિંમત નક્કી કરવા માટે કલેક્ટરને મદદ કરવાનો છે.
જેથી હવેથી જમીન સંપાદન માટે જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ કાયદાની કલમ-11(1) હેઠળ પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા પછી, પરંતુ કલમ-19 (1) હેઠળ અંતિમ જાહેરનામું બહાર પાડતા પહેલાં, જમીનનો બજાર ભાવ નક્કી કરી શકશે અને સમયમર્યાદા નક્કી કરવાથી બિનજરૂરી વિલંબને અટકાવી શકાશે અને સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત શકાશે. રાજ્ય સરકારના નવા ઠરાવથી જમીન માલિકોને પણ યોગ્ય અને સમયસર બનાવી વળતર મળવાની ખાતરી મળશે, જે જમીન સંપાદન સંબંધિત વિવાદો ઘટાડવામાં મદદરૂપ થશે.