ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ? CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા રાજકીય અટકળો વધી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને ઔપચારિક ગણાવી છે અને લખ્યું કે, ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી છે. સરકારી યોજનાઓ અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. જો કે, ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા આ સૂચક મુલાકાતને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
રાજકીય પંડિતો માને છે કે મુખ્યમંત્રીઓ દિલ્હીમાં વડાપ્રધાનની મુલાકાત લેતા જ હોય છે પણ જયારે ગુજરાતના મુખ્યમંત્રી મુલાકાત લ્યે ત્યારે જાત જાતની અટકળો વહેતી થાય તે સ્વભાવિક છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણુંક બાકી છે અને પ્રધાનમંડળના વિસ્તરણનો મુદ્દો પણ ઘણા સમયથી ચર્ચાય છે. આવા સંજોગોમાં બંને વચ્ચે આ મુદ્દે વાતચીત થઇ હોય તેવી સંભાવના પણ છે.ભાજપના પ્રદેશ પ્રમુખ ની જવાબદારી કોનાં શિરે જશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.