રાજકોટ એરપોર્ટનાં પાણી,વીજળીનાં પ્રશ્ને સાંસદ રૂપાલા કરશે મિટિંગ : પેસેન્જરોને પડતી પરેશાની દૂર કરવા આપી ખાતરી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની હાલત “બસપોર્ટ”કરતાં બદતર થઈ રહી હોય જેનો ઉકેલ લાવવા સાંસદ રૂપાલા ટૂંક સમયમાં એરપોર્ટ ઓથીરિટી સાથે મિટિંગ કરશે.રાજકોટમાં બુધવારે ભાજપની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ અને એરપોર્ટ એડવાઇઝરી કમીટીનાં ચેરમેન પરસોતમ રૂપાલાએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી, વીજળી અને મોબાઈલ કનેક્ટિવિટીના જે પ્રશ્નો સર્જાયા છે, તેને લઈને મીટીંગ કરી અને આ પ્રશ્નના ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઈટએ ઉડાન ફરી નથી તે પૂર્વે જ 600 કરોડના ખર્ચે બનેલા નવા ટર્મિનલ પર લાંબા સમયથી મોબાઈલ કનેક્ટિવિટી ના પ્રશ્ન સર્જાયા છે જેના લીધે પેસેન્જરો અને એરપોર્ટનાં સ્ટાફને હાલાકી ભોગવવી પડી છે.ટર્મિનલમાં ક્યાંય મોબાઈલ નેટવર્ક કે વાઇફાઇની સુવિધા નથી મળતી તેવી ફરિયાદ ઉભી થઇ હતી.

આ પણ વાંચો : DEOની નોટિસનો ઉલાળીયો: ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે રાજકોટના સ્કૂલ સંચાલકોનું દબાણ
આ ઉપરાંત અવારનવાર નવા ટર્મિનલ પર પાણીની પારાયણ સર્જાઈ છે તો વોશરૂમમાં પણ પાણી નથી આવતું.થોડા સમય પહેલા વીજ કનેક્શનમાં ક્ષતિ આવતા ચેક ઇન માટે સર્વર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી.જ્યારે મોંઘી ટીકીટ લઈ હવાઈ મુસાફરી કરતાં લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં ઓથોરિટી ઊણી ઉતરી છે ત્યારે આ અંગેનાં પ્રશ્નો સાંસદ અને કમિટીના ચેરમન સમક્ષ મુકવામાં આવતા તેઓએ કહ્યું હતું કે,જલ્દીથી મિટિંગ કરીશુ અને પ્રવાસીઓને પડતી મુશ્કેલી દૂર કરીશું.