કોન્ટ્રકટરના પાપે 50 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને ઘઉં-ચોખા ન મળ્યા : રાષ્ટ્રીય અન્ન સલામતી યોજનાની રાજકોટમાં હાંસી ઉડી
રાજકોટ શહેર-જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મફત વિતરણ કરવામાં આવતા ઘઉં-ચોખા 50થી 55 હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને ન મળ્યા હોવા છતાં પુરવઠા વિભાગ જાણે અજાણ હોય તેવી સ્થતિ છે. પુરવઠા વિભાગના પ્રધાનના માદરેવતન રાજકોટમાં આવી સ્થિતિ સર્જાવા પાછળ FCIના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર હોવાનું જાણવા છતાં પુરવઠા વિભાગે માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે. બીજી તરફ હવે રેશનકાર્ડ ધારકોને ઘઉં-ચોખા મળશે કે નહીં તેની સામે સવાલ ઉભા થયા હોય સસ્તા અનાજના વેપારીઓને રેશનકાર્ડ ધારકો સાથે બબાલ થવાના સંજોગો ઉભા થયા છે.
આ પણ વાંચો : રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી: શાસ્ત્રી મેદાન પાસે કાર ચાલકે મોટરસાયકલને ઠોકરે લેતા વૃદ્ધનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મે મહિનામાં એક સાથે બે મહિનાનું અનાજ આપવા જાહેર કર્યું હતું જે અન્વયે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના લાભાર્થી પરિવારો તેમજ અંત્યોદય અને બીપીએલ તેમજ NFSA યોજનાના રાશનકાર્ડ ધારકોને મે અને જૂન માસના ઘઉં-ચોખા જૂન મહિનાની 5 તારીખ સુધીમાં આપી દેવાના હતા. જો કે, ફૂ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનથી પુરવઠા વિભાગના ગોડાઉન સુધી માલ પહોંચતો કરવાની જેમની જવાબદારી હોય છે તેવા કોન્ટ્રાકટર દ્વારા સમયસર માલ પહોંચતો ન કરવામાં આવતા સસ્તા અનાજના વિક્રેતાઓ સુધી 2થી 3 તારીખે જથ્થો પહોંચ્યો હતો.બીજી તરફ બે ચાર દિવસમાં જિલ્લાના 1.25 લાખ જેટલા લાભાર્થી રેશનકાર્ડ ધારકોને 5 જૂન સુધીમાં વિતરણ થઇ શક્યું ન હતું.
આ પણ વાંચો : સાધુ-સંતો માટે જલ્દીથી પગદંડી બનાવો: જૈન સમાજનો સુર,પાલીમાં જૈન મુનિને કચડી નાંખવાની ઘટનાને પગલે દેશભરમાં રોષ
ઉલ્લેખનીય છે કે, મે મહિનાના અંત સુધી સસ્તા અનાજના વેપારીઓ સુધી માલ ન પહોંચ્યો હોવાનું જાણવા છતાં રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ નિંદ્રાધીન રહ્યું હોવાનું અને એફસીઆઈના ગોડાઉનથી સમયસર માલ ન આવ્યો હોવા છતાં પણ કોન્ટ્રાકટ સામે કડક પગલાં લેવાને બદલે માત્રને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવ્યો હોવાથી જિલ્લાના 50 ટકા જેટલા રેશનકાર્ડ ધારકો હાલમાં જૂન માસના અનાજથી વંચિત રહી ગયા છે.જો કે, હાલમાં તમામ રેશનકાર્ડ ધારકોનો જથ્થો બ્લોક કરી નાખવામાં આવ્યો હોવા છતાં આ બાબતના ઉકેલ માટે પુરવઠા વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા સસ્તા અનાજના વેપારીઓ હવે આ ગંભીર બાબતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ફિંગર પ્રિન્ટ લેવાના મંત્રા ડિવાઇસથી પરવાનેદારો ત્રાહિમામ
રાજકોટ શહેરમાં 182 સહિત જિલ્લામાં કુલ 750 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં અત્યાર સુધી એલ-1 નામના ફિંગરપ્રિન્ટ ડિવાઇસથી રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ લઈ અનાજ આપવામાં આવતું હતું પરંતુ હવેથી પુરવઠા વિભાગે તમામ સસ્તા અનાજની દુકાનોમાં મંત્રા નામનું નવું ડિવાઇસ ફરજીયાત બનાવતા એક-એક રેશનકાર્ડ ધારકના ફિંગરપ્રિન્ટ લેવામાં 10 મિનિટથી વધુ સમય લાગતો હોવાથી વિતરણ વ્યવસ્થાને અસર પડી હોવાનું પણ સસ્તા અનાજના વિક્રેતાઓ જણાવી રહ્યા છે.