મહેસાણા : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9ના મોત : વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી સહાયની કરી જાહેરાત
મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ખાતે સ્ટીલ ફેકટરીમાં કામ કરતી વેળાએ ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા અને એક મજૂરને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો જે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનામાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે.સાથે જ દુઃખદ ઘટના અંગે વડાપ્રધાને સંવેદના વ્યક્તિ કરી મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કડી તાલુકાના જાસલપુર નજીક એક સ્ટીલ ફેકટરીમાં સેફટી ટેન્કના ખોદાણ સમયે ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
કડી પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં 20 ફૂટ નીચે સેફ્ટિ ટેન્ક બનાવવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન ઇંટોની દિવાલ ધસી પડતાં મજૂરો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે એક મજૂરને જીવતો બહાર કાઢવામાં સફળતા મળી છે. દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકના જણાવ્યા મુજબ ’20 ફૂટ ઉંડા ખાડાને સમતળ કરવાની કામગીરી ચાલુ હતી ત્યારે માટી ધસી પડતા લોકો દટાયા હતા. માટી ધસી પડવાની સાથે બાજુમાં રહેલી ઈંટોની દિવાલ પણ ધસી પડી હતી.
આ ઘટનામાં માલિકની બેદરકારી સામે આવતા નવી ફેક્ટરીની બની રહેલી દીવાલ ધસી પડી હતી.નવી બની રહેલી ફેકટરીના મેનેજર અને સુપરવાઇઝર કૌશિક પરમાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં સેફ્ટીના સાધનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે. દશેરાના દિવસે જ દુર્ઘટના સર્જાતા કડી તાલુકામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
કડી તાલુકામાં સર્જાયેલ દુર્ઘટનામાં નવ-નવ લોકોના મૃત્યુ નિપજતા દુર્ઘટનાની લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિસિયલ એક્સ હેન્ડલ ઉપર પીએમઓ દ્વારા ટ્વિટ કરી ભેખડ ધસી પડવાની ઘટનાને દુખદ ગણાવી જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે શોક-સંવેદનાઓ વ્યક્ત કરી ઇશ્વર તેમને આ દુખ સહન કરવાનું શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ્ય થાય તેવી કામના વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો ને 2 લાખની સહાય જાહેર કરી ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.એ જ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ઘટનાને દુઃખદ ગણાવી મૃતકો માટે 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવા જાહેરાત કરી હતી.
મૃતકોની યાદી
- રાજુભાઇ મેડા, રામપુરા
- મુકેશ કમાલ, ખામાસણ
- આશિષ, કાલીમહુડી
- આયુષ્ય, કાલીમહુડી
- મહેન્દ્ર રમેશ બારૈયા, રાજસ્થાન
- જગન્નાથ રમેશ બારૈયા
- અરવિંદ શંભુ, ચારમચરા- દાહોદ
