રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલિશન, 80 કરોડની જમીન ખુલ્લી
મહાનગર પાલિકાના કન્ઝર્વન્સી વિભાગ માટે ફાળવેલી જમીન ઉપર ઉભી થઈ ગઈ હતી ઝુપડપટ્ટી
રાજકોટ : રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં મહાનગર પાલિકાના કન્ઝર્વન્સી વિભાગને ફાળવવામાં આવેલ વિશાળ જમીન ઉપર છેલ્લા 10 વર્ષથી ઝુપડપટ્ટી ઉભી થઇ જતા પશ્ચિમ મામલતદાર દ્વારા મંગળવારે મેગા ઓપરેશન ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી અંદાજે 80 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની રામાપીર ચોકડીથી રૈયાધાર તરફ જતા રસ્તા ઉપર મહાનગર પાલિકાના ગાર્બેજ કલેક્શન સેન્ટરની બાજુમાં જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રૈયા સર્વે નંબર 318ની 16,400 ચોરસમીટર જમીંનની કન્ઝર્વન્સી વિભાગ માટે ફાળવણી કરવામાં આવી હતી. જો કે, મહાનગર પાલિકા દ્વારા છેલ્લા એક દાયકાથી અહીં કિંમતી જમીન ઉપર કન્ઝર્વન્સીને લગતી કામગીરી શરૂ ન કરવામાં આવતા અહીં વિશાળ ઝુપડપટ્ટી નિર્માણ થઇ ગઈ હતી.
બીજી તરફ પશ્ચિમ મામલતદાર અજિત જોશી અને તેમની ટીમ દ્વારા મહાનગર પાલિકાને કન્ઝર્વન્સી વિભાગ માટે ફાળવવામાં આવેલ આ જમીન ઉપરથી દબાણ હટાવવા અંતે અગાઉ પ્રયાસો કર્યા હતા પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતો હોવાથી ડિમોલિશન કામગીરી થઇ શકી ન હતી.જો કે, મંગળવારે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતા જ મામલતદાર અજિત જોશી એન તેમની ટીમે મેગા ઓપરેશન ડિમોલિશન કાર્યવાહી કરી 30 થી 35 જેટલા કાચા પાકા મકાન તેમજ અનેક ઝૂપડાઓના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતું. માર્કેટ વેલ્યુ પ્રમાણે આ 16400 ચોરસ મીટર જમીનની અંદાજિત કિંમત રૂ.80 કરોડ ગણાય છે.
