જય દ્વારકાધીશ…અનંત અંબાણી દ્વારકા જવા પદયાત્રાએ નીકળ્યા, કાળિયા ઠાકર સાથે ઉજવશે પોતાનો જન્મદિવસ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અનંત અંબાણીનો વન્યજીવ પ્રત્યે પ્રેમ અને ભગવાનની ભક્તિ વિશે સૌ કોઈ વાકેફ છે. અનંત રામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં પણ પરિવાર અને રાધિકા સાથી જોવા મળ્યા હતા તેમજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું ત્યારે હવે અનંત પોતાનો જન્મદિવસ દ્વારકાધીશના ધામ દ્વારકામાં ઉજવશે. હોળીના તહેવાર નિમિતે હજારો પદયાત્રિકો દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે અને ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે દ્વારકા પહોંચ્યા હતા ત્યારે હવે અનંત પણ પોતાનો જન્મદિવસ કાળિયા ઠાકર સાથે ઉજવવા માટે પગપાળા દ્વારકા જવા માટે રવાના થયા છે.
અંબાણી પરિવારનો સૌથી નાનો દીકરો અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યો છે. અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે. તેમણે ગઇકાલે (તારીખ 28/03/2025)ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી અને આજે સવારે તેઓ ખંભાળિયા નજીક પહોંચ્યા હતા. અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. તેની પદયાત્રાના અનેક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે અનંતની સાથે મોટો કાફલો પણ પદયાત્રામાં જોડાયો છે. અનંતના મુખે બસ એક જ નામ છે જય દ્વારકાધીશ . Z પ્લસ સિક્યોરિટી સાથે પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશિપ કર્યા હતા. બીજા દિવસે રાત્રે સાડાત્રણ વાગ્યે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ કર્યા છે.
અનંત અંબાણીની આ પદયાત્રામાં બ્રાહ્મણો અને મિત્રો જોડાયા
અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ‘જય દ્વારકાધીશ’નો જયઘોષ કરી રહ્યા છે. જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. અનંત અંબાણી સાથે તેમનો સિક્યુરિટી સ્ટાફ પણ છે તેમજ કોઈ મેડિકલ સારવારની જરૂર પડે તે માટે એમ્બ્યુલન્સ પણ સાથે રાખવામાં આવી છે. અનંત અંબાણીની આ હિંમતને સલામ છે. બે દિવસમાં તેમણે 24 કિમી સુધીનું અંતર કાપ્યું હતું તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.
દ્વારકાધીશ પ્રત્યે અંબાણી પરિવારમાં અતૂટ શ્રધ્ધા
ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. અવાર-નવાર અંબાણી પરિવાર જ્યારે જામનગરની મુલાકાતે આવે છે ત્યારે દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. ત્યારે હાલ અનંત અંબાણી દ્વારકા જવા માટે પદયાત્રા કરી રહ્યા છે ત્યારે જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે.