તાજિયાના ઝુલુસમાં મ્યુઝિક વગાડવા માટે રાજકોટ પોલીસની મંજૂરી લેવી ફરજિયાત : 9 ફૂટથી ઉંચા તાજિયા બનાવવાની મનાઈ
આગામી પાંચ અથવા છ જૂલાઈએ પવિત્ર મહોરમ માસ નિમિત્તે રાજકોટ શહેરમાં તાજીયાનું ઝુલુસ નીકળવાનું છે તેને અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યા પ્રમાણે ઝુલુસમાં મ્યુઝિક વગાડવા માટે પોલીસની અલગથી મંજૂરી લેવા તેમજ રાત્રે 10 વાગ્યે મ્યુઝિક બંધ કરવા સહિતના નિયમ અમલી બનાવવામાં આવ્યા છે અને આ નિયમનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ઝુલુસમાં સામેલ થનારા દરેક તાજિયાની ઉંચાઈ નવ ફૂટથી વધારે નહીં રાખી શકાય. આ ઉપરાંત નિયત કરાયેલા સ્થળ સિવાય અન્ય સ્થળે તાજિયા મુકી શકાશે નહીં. આ જ રીતે જે જગ્યાએ તાજીયા બનાવવાની કામગીરી કરવામાં આવે છે તે જગ્યાની આજુબાજુ તેમજ નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે તાજીયાને રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે પ્રકારે રાખી શકાશે નહીં. ખાસ કરીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોય તેનું પાલન ઝુલુસ દરમિયાન પણ કરવું પડશે.
આ પણ વાંચો : રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર આચર્યું દુષ્કર્મ : છૂટાછેડા કર્યા બાદ મૈત્રીકરાર કરીને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો

આ ઉપરાંત અરજદારે મ્યુઝિક વગાડવા માટે જે-તે વિસ્તારના પોલીસ મથકમાંથી અલગથી મંજૂરી લેવી પડશે, પોલીસ સ્ટેશન દ્વારા તાજીયા અંગેની મંજૂરી આપવામાં આવે તે રૂટ ઉપર જ સમયમર્યાદામાં તાજિયાનું ઝુલુસ પૂર્ણ કરવાનું રહેશે. તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લીક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કચરા પેટી રાખવાની તેમજ સફાઈ કરવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોની રહેશે.