રાજકોટ, વડોદરા અને ઈન્દોરમાં રમાનારી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત: શુભમન ગીલ-શ્રેયસ અય્યરની વાપસી
રાજકોટ, વડોદરા અને ઈન્દોરમાં રમાનારી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 11 જાન્યુઆરીથી આ સીરિઝ શરૂ થઈ રહી છે જેની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે તો વાઇસ કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર રહેશે. જોકે BCCIએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા પછી ઐયર રમી શકશે.
ભારતીય ક્રિકેટ ટીમનો નવા વર્ષની પહેલી ટેસ્ટ મેચ ન્યુઝીલેન્ડ સામે હશે. ભારતીય ટીમ 11 જાન્યુઆરીથી કિવી ટીમ સામે ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે. T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે ૩જાન્યુઆરી, શનિવારના રોજ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
શુભમન ગિલ વનડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો, જેના કારણે કેએલ રાહુલને કેપ્ટનશીપ સંભાળવાની ફરજ પડી હતી. ભારતે તે શ્રેણી 2-1થી જીતી હતી. શુભમનની સાથે, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઉપ-કપ્તાન શ્રેયસ ઐયરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, શ્રેયસ ફિટ જાહેર થાય તો જ શ્રેણીમાં ભાગ લઈ શકશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારથી તે મેદાનમાંથી બહાર છે.
આ પણ વાંચો :ભંગાર ACના 2000, લેપટોપ-વોશિંગ મશીનના રૂપિયા 500 આપશે રાજકોટ મહાપાલિકા: ઈલેક્ટ્રોનિક ભંગાર ઘરે આવીને લઈ જશે
મોહમ્મદ સિરાજ અને શ્રેયસ ઐયર પાછા ફર્યા છે, પરંતુ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને વધુ એક નિરાશાનો સામનો કરવો પડ્યો છે. શમી છેલ્લે ભારત માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં રમ્યો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઘરેલુ ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહેલા દેવદત્ત પડિકલ અને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ઋષભ પંતે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
દરમિયાન, રુતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ અને તિલક વર્માને બાકાત રાખવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતા. રુતુરાજે તે શ્રેણીમાં સદી પણ ફટકારી હતી, તેથી તેમનો બાકાત રાખવો આશ્ચર્યજનક હતો.
ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન*), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડનો કાર્યક્રમ
- 11 જાન્યુઆરી – પહેલી વનડે, વડોદરા
- 14 જાન્યુઆરી – બીજી વનડે, રાજકોટ
- 18 જાન્યુઆરી – ત્રીજી વનડે, ઇન્દોર
- 21 જાન્યુઆરી – પહેલી T20, નાગપુર
- 23 જાન્યુઆરી – બીજી T20, રાયપુર
- 25 જાન્યુઆરી – ત્રીજી T20, ગુવાહાટી
- 28 જાન્યુઆરી – ચોથી T20, વિશાખાપટ્ટનમ
- 31 જાન્યુઆરી – પાંચમી T20, તિરુવનંતપુરમ
