ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: આ તારીખથી ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી કરાશે શરૂ
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
કમોસમી વરસાદને લીધે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે તમારી પડખે છીએ. મંત્રીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. ખુદ સીએમ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.
આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કરશે સમીક્ષા, ડેડીયાપાડામાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધશે
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણષ વેચવી નહીં પડે.
રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે.
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી
ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.
