તું ભૂલો તો પડ મારા…રાજકોટના લોકમેળામાં અઘોરી ગ્રુપ સૌરાષ્ટ્રવાસીઓને ડોલાવશે, ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થા
રાજકોટના લોકમેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દર વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠથી શરૂ થઇને દશમ સુધી રાજકોટનો મેળો મહાલવા ગામેગામથી લોકો ઊમટી પડે છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળાની મોજ માણે છે ત્યારે આ વર્ષે (2025) અઘોરી મ્યુઝીક સૌરાષ્ટ્રની જનતાને ડોલાવશે. આ વર્ષે શરૂઆતથી જ રાજકોટનો લોકમેળો વિવાદના વંટોળે ચડ્યો હતો. લોકોના મનમાં પણ મૂંઝવણ હતી કે રાઇડ્સ વગરનો મેળો કેવો હશે ત્યારે SOPમાં છૂટછાટ મળતા રાઈડ સંચાલકો અને લોકો બન્ને ખુશ-ખુશાલ છે.

લોકમેળા વિશે માહિતી આપતા કલેકટર ઓમપ્રકાશે કહ્યું હતું કે રાજકોટનો મેળો મનોરંજનથી ભરપૂર હશે. રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે તેવો અંદાજો હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકમેળા સમિતિ દ્વારા કુલ 234 પ્લોટ -સ્ટોલનું આયોજન કર્યું છે. જો કે, એસઓપી પાલનને લઈ રાઇડ્સ સંચાલકો આડા ફાટતા અગાઉ ત્રણ-ત્રણ મુદત વધારવા છતાં 234 સ્ટોલ-પ્લોટ સામે માત્ર 290 ફોર્મ ઉપડ્યા હતા જેમાંથી 193 ફોર્મ ભરાઈને પરત આવતા ડ્રો અને હરરાજી કરવામાં આવતા કુલ 234 પ્લોટ-સ્ટોલ પૈકી તમામ કેટેગરી મળી માત્ર 91 સ્ટોલ-પ્લોટના જ ખરીદદાર મળ્યા હતા અને 143 સ્ટોલ -પ્લોટ ખાલી રહેતા જિલ્લા કલેકટર દ્વારા તા.30 અને તા.31ના રોજ સ્ટોલ પ્લોટ માટે ફોર્મ વિતરણ અને પરત લેવાની મુદત વધારી હતી.

લોકમેળામાં અઘોરી ગ્રુપ દ્વારા બેન્ડ પરફોર્મ કરવામાં આવશે
મેળામાં લોકોની સુરક્ષા, કલેકટરે ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થાને પણ કરવામાં આવી છે તેમજ લોકોના મનોરંજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. 143 સ્ટોલ -પ્લોટ ખાલી છે અને આજે હરાજીનો છેલ્લો દિવસ છે જો સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ-અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. જેમાં અઘોરી ગ્રુપ, અનિરુધ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. અત્યાર સુધીમાં લોકમેળામાં સ્ટોલ અને પ્લોટના વેચાણ થકી વહીવટી તંત્રને રૂ.1.80 કરોડની આવક થઈ છે.
લોકમેળાનું નામ ટૂંક સમયમાં જાહેર થશે
રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવ્યું હતું. ત્યારે કલેકટરે જણાવ્યું હતું કે લોકમેળાનું નામ ટૂંક સમયમાં જાહેર કરાશે તો સાથે જ તેની આમંત્રણ પત્રિકા પણ થોડા દિવસ તૈયાર થઈ જશે. મોટાભાગના પ્લોટની ખરીદી વેપારીઓ કરી લેશે. જો ત્યારબાદ પણ તમામ પ્લોટનું વેચાણ નહીં થાય તો ત્યાં સરકારી સંસ્થાઓને સ્ટોલ રાખવા માટેની મંજૂરી આપવામાં આવશે. આ વખતે લોકમેળામાં અઘોરી ગ્રુપ દ્વારા બેન્ડ પરફોર્મ કરવામાં આવશે. આ સાથે જ કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ અનિરુદ્ધ આહિરની પણ ઇવેન્ટ યોજાશે.
આ પણ વાંચો : દુખાવો કે સોજાની દવા લેનારા સાવધાન…દવામાં ભેળવાય છે ચૂનો! 17 લાખની નકલી દવા જપ્ત, મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી
દરમિયાન બુધવારે ફોર્મ વિતરણની નવી મુદતમાં પ્રથમ દિવસે જ જુદી-જુદી કેટેગરીમાં 28 ફોર્મનો ઉપાડ થયો હતો અને એક્સ-આઈસ્ક્રીમ ચોકઠાં કેટેગરીમાં 3 ફોર્મ તેમજ બી-1 ખાણીપીણી કેટેગરીમાં 2 ફોર્મ જમા થયા હતા. નોંધનીય છે કે, બી-રમકડાં ડ્રો કેટેગરીમાં 98 સ્ટોલ, ખાણીપીણી બી-1 કોર્નરમાં 34 પ્લોટ, એ-ખાણીપીણીમાં 2 તેમજ આઈસ્ક્રીમ ચોકઠાંમાં 9 સ્ટોલ-પ્લોટ ખાલી છે. જો કે,આજે ફોર્મ સ્વીકારવાનો અંતિમ દિવસ હોય આજ સાંજ સુધીમાં મેળાનું ચિત્ર સ્પષ્ટ બનશે.
2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ
| વર્ષ | લોકમેળાનુ નામ |
| 2007 | રંગીલો લોકમેળો |
| 2008 | રમઝટ લોકમેળો |
| 2009 | નવરંગ લોકમેળો |
| 2010 | સ્વર્ણિમ લોકમેળો |
| 2011 | સાંસ્કૃતિક લોકમેળો |
| 2012 | વિવેકાનંદ લોકમેળો |
| 2013 | સાંસ્કૃતિક લોકમેળો |
| 2014 | જમાવટ લોકમેળો |
| 2015 | ગોરસ લોકમેળો |
| 2016 | મારો રંગીલો મેળો |
| 2017 | વાયબ્રન્ટ લોકમેળો |
| 2018 | ગોરસ લોકમેળો |
| 2019 | મલ્હાર લોકમેળો |
| 2022 | આઝાદીનો અમૃત લોકમેળો |
| 2023 | રસરંગ લોકમેળો |
| 2024 | ધરોહર લોકમેળો |
