1 એપ્રિલ બાદ જન્મ-મરણ થયા હોય તો દાખલો મફત, તે પહેલાં થાય તો એક નકલના 50 ! RMCના બેવડા વલણથી લોકોમાં રોષ
રાજકોટમાં દરરોજ હજારોની સંખ્યામાં જન્મ-મરણના દાખલા ઈશ્યુ થઈ રહ્યા છે. મહાપાલિકા દ્વારા 2025-26ના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 1 એપ્રિલ બાદ જન્મ-મરણના દાખલાની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે આપવામાં આવશે જેના અગાઉ 25 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ સાથે જ સરકાર દ્વારા અમલી બનાવાયેલો પરિપત્ર પણ ફટાફટ અમલમાં મુકી દીધો હતો જે પ્રમાણે 1 એપ્રિલ પહેલાં કોઈનું મૃત્યુ કે જન્મ થયો હોય અને તેને દાખલો જોઈતો હોય તો પાંચની જગ્યાએ 50 રૂપિયા પ્રતિ નકલ ચૂકવવાના રહેશે ! આ પ્રકારના બેવડા વલણને કારણે લોકોમાં અત્યારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
વિચિત્રતા તો એ છે કે મહાપાલિકા દ્વારા જન્મ-મરણના દાખલાની પ્રતિ નિકલ પાંચની જગ્યાએ 50 રૂપિયા ફી વસૂલાતનો પરિપત્ર ફટાફ્ટ અમલી બનાવી દીધો જૈની સામે પોતે લીધેલો નિર્ણય 1 એપ્રિલથી જ અમલી બનાવાયો હતો મતલબ કે 1 એપ્રિલ બાદ કોઈનું મૃત્યુ કે જન્મ થાય તો તેને પાંચ નકલ મફતમાં આપવાનું શરૂ કરાયું છે. લોકોનું કહેવું છે કે પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મળવાથી લોકોને ઘણી રાહત મળી રહી છે અને આ નિર્ણય એકદમ આવકારદાયક પણ છે સાથે સાથે એવો રોષ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે સરકાર દ્વારા પ્રતિ નકલ 50 રૂપિયા વસૂલવાનો જે પરિપત્ર ઈશ્યુ કરાયો હતો તેનું પણ શા માટે 1 એપ્રિલ બાદ અમલીકરણ ન કરવામાં આવ્યું ?
એકંદરે અત્યારે 1 એપ્રિલ પહેલાં કોઈનો જન્મ કે મૃત્યુ થયું હોય એટલે તેણે પ્રતિ નકલ 50 રૂપિયા આપવા પડી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ અરજદાર બે અથવા તેથી વધુ જ નકલ મેળવતાં હોવાથી તેમને 150 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. વળી, પાંચ નકલ કે જે પહેલાં 25 રૂપિયામાં મળતી હતી તેના હવે ર50 થઈ જતાં ખીસ્સા ઉપર જબરું ભારણ આવી પડયું છે જે તંત્રવાહકોને કદાચ દેખાઈ રહ્યું નથી !