હું સતત થાક-માનસિક તણાવ…કોડીનારના શિક્ષકે SIRની કામગીરીથી કંટાળીને કર્યો આપઘાત,સુસાઇડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ
રાજ્યમાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવતા તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે ત્યારે આજે SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો. તેમજ પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ જપ્ત કરવામાં આવી છે જેમાં તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટકેથી મોત નીપજ્યું હતું ત્યારે રાજ્યના તમામ BLO કર્મચારી આજે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે.
શું છે સમગ્ર ઘટના?
BLOની કામગીરીને લઈને શિક્ષકો માનસિક થાક અને દબાણ અનુભવી રહ્યા છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. માનસિક દબાણનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કામગીરીના ભારણથી આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
અરવિંદભાઈ વાઢેર છારા કન્યા પ્રાથમિક શાળામાં 2010થી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી હતી અને કામગીરીના ભારણ અને માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને શિક્ષકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :જમ્મુમાં કાશ્મીર ટાઇમ્સની ઓફિસ પર દરોડા : 3 ગ્રેનેડ લિવર, AK-47 કારતૂસ જપ્ત, એક્ઝિક્યુટિવ એડિટર સામે FIR
શિક્ષકે લખેલી સુસાઇડ નોટ
પ્રિય પત્ની સંગીતા…
મારાથી કોઇપણ કાળે હવે આ SIR કામ થઇ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.
તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી.
મારો આ થેલો અહીં પડ્યો છે. એમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે, એ સ્કૂલે આપી દેજે.
I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay.
Dt. 21-11-2025
Time – 6.35 am
આ પણ વાંચો :7 વર્ષની માંગણીનો સ્વીકાર : રાજકોટ ગ્રામ્યમાં નવાં DEO મળશે, ગુજરાતમાં 6 નવી DEO કચેરીને મળી મંજુરી
3 દિવસમાં બીજા શિક્ષકનું મોત
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું.
રાજકોટ જિલ્લામાં 4000 જેટલા શિક્ષકોને BLO કામગીરી સોંપવામાં આવી
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં હાલ કુલ 5500 જેટલા શિક્ષકો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવે છે. તેમાંથી 4000 જેટલા શિક્ષકોને BLO કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે આ શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને બોર્ડની પરીક્ષામાં પરિણામ પર અસર થાય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ મહિલા શિક્ષકોના મોબાઈલ નંબર જાહેર કરતા તેઓને પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે
