પંજાબના પાદરીને અદાલતે દુષ્કર્મ કેસમાં કેટલી સજા ફટકારી ? જુઓ
પંજાબના પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો હતો અને મંગળવારે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે.
2018માં તેના પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, બજિન્દર વિકૃત માનસિકતા ધરાવે છે. તે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ પ્રકારના કૃત્યો કરતો રહેશે. તેથી હું તેને જેલમાં જોવા માગું છું. કોર્ટના આ નિર્ણયથી અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે. પીડિતાએ ડીજીપીને પોતાના જીવ પર જોખમ હોવાનું કહી સુરક્ષા માટે અરજી પણ કરી છે.
પીડિતાના પતિએ સાત વર્ષ સુધી કેસ લડ્યો હતો. તેણે પણ કોર્ટનો નિર્ણય સ્વીકાર્યો છે. તેણે જણાવ્યું કે, આ કેસમાં અમને સાત વર્ષમાં અનેક મુશ્કેલીઓ નડી છે.
બજિન્દર વિરૂદ્ધ પોલીસે 2018માં દુષ્કર્મનો કેસ નોંધ્યો હતો. તે સમયે તેની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બજિન્દર લંડન ફરાર થવાની ફિરાકમાં હતો. પંજાબના મોહાલીમાં એક મહિલાએ તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.