હાશ ! રાજકોટના માધાપર ચોકડી સર્વિસ રોડના કામનું મુહૂર્ત નીકળ્યું, રોડ બનાવવાનો ઇન્કાર કરનાર એજન્સીને ફટકારાશે પેનલ્ટી
રાજકોટ-જામનગર રોડ ઉપર ઓવરબ્રિજ બની ગયા બાદ પણ વ્હોરા સોસાયટી તરફનો સર્વિસ રોડ ન બનતા લોકો રોંગ સાઈડમાં ચાલવા મજબુર બન્યા છે ત્યારે જિલ્લા કલેકટરના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગે તાબડતોબ સોમવારથી જ સર્વિસ રોડની કામગીરી શરૂ કરવાનું જાહેર કરી 15થી 20 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરવા માટે તૈયારીઓ શસૃ કરી છે.નોંધનીય છે કે, ઓવરબ્રીજનો કોન્ટ્રાકટ રાખનાર સુરતની સી.આર.પટેલ એજન્સીએ સર્વિસ રોડની કામગીરી કરવા ઇન્કાર કરી દેતા માર્ગ અને મકાન વિભાગે એજન્સીને પેનલ્ટી ફટકારવવા પણ તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-જામનગર રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં બ્રિજના વ્હોરા સોસાયટી તરફના ભાગે જમીન સંપાદનના કારણે સર્વિસ રોડની કામગીરી ઘોચમાં પડી હતી. જો કે, જિલ્લા કલેકટર દ્વારા કપાતમાં જતી જમીનના બદલે વળતર ચૂકવી જમીન સંપાદનનો પ્રશ્ન પણ હલ કર્યા બાદ ઓવરબ્રિજની કામગીરી કરનાર સુરતની સી.આર.પટેલ એજન્સીએ વિલંબ થવાથી હવે સર્વિસ રોડની કામગીરી પોતે નહીં કરે તેમ કહી હાથ ઉંચા કરી દેતા લાંબા સમયથી વ્હોરા સોસાયટી તરફનો સર્વિસ રોડ ન બનતા લોકોને હાલમાં રોંગ સાઈડમાંથી ચાલવું પડે છે.
બીજીતરફ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે સર્વિસ રોડની કામગીરી કરવા સૂચના આપતા માર્ગ અને મકાન વિભાગે અન્ય એજન્સી મારફતે અંદાજે 24 લાખના ખર્ચે 300 મીટર લાંબો અને ચાર મીટર પહોળો સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાહેર કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગના અધિકારી પટેલે ઉમેર્યું હતું કે, સોમવારથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે અને ચોમાસા પહેલા જ સર્વિસ રોડ શરૂ થાય તે માટે કાર્યવાહી કરવાની સાથે જ સર્વિસ રોડની કામગીરી કરવા ઇન્કાર કરનાર સુરતની સી.આર.પટેલ એજન્સી વિરુદ્ધ પેનલ્ટી સહિતની કામગીરી કરવામાં આવશે. સુરતની સી.આર.પટેલ એજન્સીને હજુ ચુકવણું કરવાનું બાકી હોવાનું પણ સામે આવ્યું છે.