પંજાબના પૂર પીડિત લોકોની પડખે ગુજરાત : 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ આપી લીલીઝંડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી, અન્ય રાહત સામગ્રી તથા દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.

પંજાબના પૂર પીડિત લોકોની પડખે ગુજરાત
પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રૂ.5 કરોડની મદદ સહાયના ચેક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને આ અગાઉ મોકલી આપ્યા છે.

8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ 22 વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે. તેમ પ્રવક્ત મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ વિશેષ રાહત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની ભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. આસિત દવે તેમજ અન્ન નાગરિક પૂરવઠા અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, રાહત કમિશ્નર આલોક પાંડે, રેલ્વેના ડી.આર.એમ. અને રેલવે તંત્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
