રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લુણીવાવ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યું રાત્રિરોકાણ : સાદગીપૂર્ણ જીવનશૈલીનો આપ્યો સંદેશ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટની મુલાકાતે છે ત્યારે ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમણે ગોંડલ તાલુકાના લુણીવાવ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગ્રામ્ય જીવનની સાદગીને અનુરૂપ લુણીવાવ પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં તેઓ રાત રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ગામડાઓની તેમની મુલાકાત દરમિયાન સાદગીપૂર્ણ જીવનશૈલી પર ભાર આપી તદૃન પ્રાથમિક સુવિધાઓ ધરાવતા સરકારી શાળા કે પંચાયત ભવન પ્રકારના સરકારી આવાસોમાં રોકાણ કરે છે.

રાજ્યપાલએ શાળા ખાતે વહેલી સવારે નિત્યક્રમ મુજબ યોગાભ્યાસ કર્યો હતો. જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા. સૂક્ષ્મ વ્યાયામ સાથે યોગનો આરંભ કરવામાં આવ્યો હતો. બાદમાં ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ સહિતના પ્રાણાયામો, વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યપાલએ આ તમામના ફાયદા પણ બાળકોને વર્ણવ્યા હતા. બાદમાં રાજ્યપાલ અને બાળકોએ સ્ફૂર્તિ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.

આ તકે તેમણે સ્વચ્છતા સાથે સાદગી અને શિક્ષણ સાથે સંસ્કાર પર ભાર મૂક્યો હતો. આ શાળામાં નિયમિત રીતે યોગ શીખવવામાં આવતા હોવાનું જાણીને રાજ્યપાલએ આનંદ વ્યક્ત કર્યો તથા શિક્ષકોને બિરદાવ્યા હતા.

